
(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.રર
સુપ્રિમ કોર્ટ દ્વારા ત્રણ તલાકનાં મુદ્દે આપેલા ચુકાદા બાદ મુસ્લિમ સમાજમાં તેને લઈને ભિન્ન ભિન્ન મત પ્રવર્તી રહ્યા છે.મોટા ભાગનાં મુસ્લિમ સમાજનાં આગેવાનો અને ધર્મગુરૂઓએ દુઃખદ ગણાવ્યો છે,તેઓએ સુપ્રિમ કોર્ટનાં ચુકાદાને આદર આપ્યો છે,પણ તેનાંથી મુસ્લિમ સમુદાયનાં બંધારણે આપેલા ધર્મનાં કાયદાઓનાં પાલનનાં હક્ક પર તરાપ લાગી હોવાનો મત વ્યકત કર્યો છે.
આણંદનાં જમીયતે ઉલેમાએ હિંદનાં જનરલ સેક્રેટરી એમ.જી ગુજરાતીએ સુપ્રિમ કોર્ટએ આપેલા ત્રણ તલાકનાં મુદ્દાને દુઃખદ ગણાવતા કહ્યું હતું કે અમે સુપ્રિમ કોર્ટનાં આદેશનો આદર કરીએ છીએ,પરંતુ આ કાયદાથી ભારતનાં બંધારણમાં મુસ્લિમ સમાજને પોતાનાં ધર્મનાં કાયદાઓને અનુસરવાની સ્વતંત્ર્તા આપવામાં આવી છે, તેનાં પર તરાપ લાગશે,ઈસ્લામમાં પણ કયાંય એક સાથે ત્રણ તલ્લાક આપવાનું નથી કીધું અને અલ્લાહને પણ તલ્લાક શબ્દ પસંદ નથી, તલ્લાક આપતા પહેલા જુદા જુદા નીતિ નિયમો છે, પતી પત્ની વચ્ચે સમાધાનનાં પ્રયાસો,પતિ પત્નીનાં પરિવારજનો અને સમાજનાં લોકોને સાથે રાખીને સમાધાનનાં પ્રયાસો કરવા જોઈએ,અને ત્યારબાદ ના છુટકે એક તલ્લાક આપવી જોઈએ, ઈસ્લામમાં કયાંય એક સાથે ત્રણ તલ્લાક આપવાનું કીધુ નથી, દેશનાં ફોજદારી કાયદામાં જે રીતે હત્યા કરી શકાય નહી, પરંતુ જો કોઈ હત્યા કરી દે તો તેને સજા થાય છે.તેમ ઈસ્લામમાં પણ જો કોઈ ત્રણ તલ્લાક આપી જ દે તો તેને માન્ય રાખવામાં આવે છે. કુરઆન અને હદીષનાં કાયદાઓને કોઈ બદલી શકતું નથી, અને મુસ્લિમ સમાજમાં ૯૫ ટકા લોકો તેમાં માન્યતા ધરાવે છે,માત્ર પાંચ ટકા લોકો ત્રણ તલ્લાકને માનતા નથી,ત્યારે મુસ્લિમ વકીલો કદાચ પોતાનો પક્ષ સુપ્રિમ કોર્ટને સમજાવવામાં સફળ રહ્યો નથી, તેમ લાગી રહ્યું છે.
જયારે આ અંગે બોરસદ તાલુકાનાં નાપા વાંટા ગામનાં દારૂલ ઉલુમ અહલે બૈતનાં નાઝીમે આલા અબ્દુલકાદર બાપુએ જણાવ્યું હતું કે સુપ્રિમ કોર્ટનો ચુકાદો સમાજ માટે દુઃખદ છે. મુસ્લિમ સમાજ કયારેય પોતાનાં મજહબની વિરૂદ્ધ નહી જઈ શકતા, મજહબથી ઉપર કોઈ કાનુન નથી, તેવું મુસ્લિમોનું માનવું છે,અને આ ચુકાદાનાં કારણે ધર્મનાં પાલનનાં બંધારણીય હક પર અવરોધ ઉભા થશે. મુસ્લિમ સમાજમાં માત્ર જુજ લોકો ત્રણ તલ્લાકને માનતા નથી, ત્યારે બહુધા મુસ્લિમ સમાજ માટે આ ચુકાદો દુઃખદ છે.
આણંદનાં ઉમ્મીદ ગૃપનાં ડા.જાવેદ વ્હોરાએ જણાવ્યું હતું કે મુસ્લિમ સમાજ માટે કુરઆનનો કાયદો સર્વોપરી છે,અમે સુપ્રિમ કોર્ટનાં ચુકાદાનો અનાદર નથી કરતા પરંતુ આ ચુકાદો મુસ્લિમ સમાજ માટે દુઃખદ ચુકાદો છે,ધર્મની બાબતમાં કેટલાક લોકો દખલગીરી કરવાનાં બદ ઈરાદે તેને સુપ્રિમ કોર્ટમાં લઈ ગયા, પરંતુ આતો મુસ્લિમ સમાજની આસ્થાનો પ્રશ્ન છે, અને આ ચુકાદાથી મુસ્લિમ સમાજમાં નારાજગી પ્રવર્તી રહી છે.