
(સંવાદદાતા દ્વારા) માળિયામિંયાણા, તા.૧ર
માળિયામિંયાણા સુન્ની મુસ્લિમ સમાજે હઝરત મોહમ્મદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.) વિરૂદ્ધ વાણીવિલાસ કરનાર સોનુ ડાંગર સામે કડક કાર્યવાહી કરવા માટે વિશાળ રેલી સાથે આવેદન પાઠવ્યું હતું. સોનુ ડાંગરના પૂતળાને જાહેરમાં સળગાવી શહેર સ્વયંભૂ બંધ પાળી આક્રોશ વ્યક્ત કર્યો હતો. ઈસ્લામ ધર્મના સ્થાપક હઝરત મોહમ્મદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.)ની શાનમાં બેફામ વાણીવિલાસ કરી અભદ્ર ટિપ્પણી સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી ગુસ્તાખી કરનાર રાજકોટની સોનુ ડાંગરના વિરૂદ્ધમાં ઠેર-ઠેર મુસ્લિમ સમાજ દ્વારા ફિટકાર વરસાવી ઉગ્ર અક્રોશ વ્યક્ત કરી આવેદનો પાઠવવામાં આવી રહ્યા છે. કોમી અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરનાર કોમવાદી વલણ ધરાવતી સોનુ ડાંગર વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે મુસ્લિમ સમાજમાં આક્રોશ ઉઠ્યો છે ત્યારે માળિયામિંયાણા સુન્ની મુસ્લિમ સમાજ અને નગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા સોનું ડાંગર વિરૂદ્ધ કડક પગલા ભરવા વિશાળ રેલી કાઢીને શહેરના વાગડિયા દરવાજે સોનુ ડાંગરના પૂતળાને જાહેરમાં સળગાવી ઉગ્ર રજૂઆત સાથે માળિયા મામલતદાર સોલંકીને આવેદનપત્ર પાઠવી અને આખુ શહેર સ્વયંભૂ બંધ પાળી વિરૂદ્ધમાં વેપારીઓ સ્વેચ્છાએ જોડાયા હતા અને મુસ્લિમ સમાજે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો.