(એજન્સી) નવી દિલ્હી, તા.૪
ભારતે પહેલાં તબક્કે ૭ રોહિંગ્યા મુસ્લિમ વસાહતીઓને મ્યાનમાર પાછા મોકલ્યા છે. ૭ ગેરકાયદેસર વસાહતીઓ ર૦૧રના વર્ષથી આસામની જેલમાં હતા, એમને મ્યાનમાર સત્તાધિકારીઓને મોરેહ બોર્ડર પોસ્ટ ઉપર સોંપ્યા હતા. આજે સુપ્રીમ કોર્ટે એમના કેસમાં હસ્તક્ષેપ કરવા ઈન્કાર કર્યો હતો. જે ૭ વ્યક્તિઓને પાછા મોકલાયા છે એમાં મોહમ્મદ જમાલ, મોહબુલખાન, જવાલ હુસૈન, મોહમ્મદ યુનુસ, સાબિર અહમદ, રહીમઉદ્દીન અને મોહમ્મદ સલાય છે. એમની ધરપકડ વિદેશી કાયદાઓના ભંગ બદલ કરાઈ હતી અને આસામની સિલચર જેલમાં રાખવામાં આવ્યા હતા. મ્યાનમાર સરકારે એમની મ્યાનમારની નાગરિકતાની ખરાઈ કરી હતી. મ્યાનમારના રાજદૂતે ખરાઈ કરી એના પછી ડિપોર્ટ પ્રક્રિયા શરૂ કરાઈ હતી. સુપ્રીમ કોર્ટે આજે એમને પાછા નહીં મોકલવાની અરજી રદ કરી હતી. ત્રણ જજોની બેંચે જણાવ્યું કે, આ ૭ વ્યક્તિઓ ગેરકાયદેસરના વસાહતીઓ પૂરવાર થયા હતા અને મ્યાનમાર એમને પાછા લેવા તૈયાર છે. અરજદારો તરફે રજૂઆત કરતા વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે રોહિંગ્યાઓના રક્ષણ કરવાની જવાબદારી કોર્ટની છે. એમણે આક્ષેપો કર્યા કે મ્યાનમારમાં ખૂબ જ ગંભીર રીતે વંશીય હત્યાઓ થઈ રહી છે જેમાં ૧૦ હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.