(સંવાદદાતા દ્વારા)
વડોદરા,તા.૧૬
ગુજરાત સરકાર અપર પ્રાયમરી (ધો. ૬ થી ૮)ની સરકારી શાળાઓનાં નબળા વિદ્યાર્થીઓ માટે વિદ્યા મિશનનો કાર્યક્રમ કરવા માગે છે. ધો.૮ પાસ થનાર વિદ્યાર્થીઓને ગુજરાતી, અંગ્રેજી વાંચતા આવડતું નથી. તેમજ ગણિત-વિજ્ઞાનમાં પણ વિદ્યાર્થીઓ નબળા છે. એવું સરકાર સ્વીકારે છે. શિક્ષણ વિભાગ પાસે ગણિત-વિજ્ઞાન અને અંગ્રેજી શિખવી શકે એવા પુરતા પ્રમાણમાં શિક્ષકો નથી. એક માસના આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની નબળાઇ દુર થાય એ શકય નથી. એના માટે સક્ષમ અંગ્રેજી-ગણિત-વિજ્ઞાન ભણાવી શકે એવા શિક્ષકો તૈયાર કરવા જોઇએ.
વિદ્યાર્થીઓની નબળાઇઓ દુર કરવા (ધો.૧ થી ૫) લોઅર પ્રાયમરીથી શિક્ષણની ગુણવત્તા સુધારવા પ્રયત્નો કરવા જરૂરી છે. ધો.૧માં આવનારા વિદ્યાર્થીઓને બેઝીક શિક્ષણ આપીને જ ધો.૨ માં મોકલવા જોઇએ એના માટે પ્રિ.પાયમરી એજ્યુકેશન ઉપર ભાર મુકવો જરૂરી છે. બાળવાડીઓ શરૂ કરી સરકારે ખર્ચ ઉઠાવવો જોઇએ. સરકારે શિક્ષણની ગુણવત્તા સુધારવા લોઅર પ્રાયમરીમાં વધુ ધ્યાન આપવું જરૂરી છે. તેમજ સરકારી શાળાઓમાં પુરતા પ્રમાણમાં શિક્ષકો પુરા પાડવા જોઇએ. તેમ માજી કોર્પોરેટર આઇ.ડી. પટેલે અખબારી યાદીમાં જણાવ્યું હતું.