(સંવાદદાતા દ્વારા) ભાવનગર,તા.પ
બોટાદ જિલ્લા બરવાળા તાલુકાના સાળંગપુર ગામે મંદિરે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે પાર્કિંગ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સેવા આપતા અને આ વ્યવસ્થામાં ગોઠવાયેલા પૂર્વ સરપંચ મેરૂભાઈ દાદાભાઈ ખાચર વાહનોને પાર્કિંગ કરાવી રહ્યા હતા. તે વેળાએ કોઈ અજાણ્યા બાઈક ચાલક સાથે વાહન પાર્કિંગ બાબતે બોલાચાલી થતા ઉશ્કેરાયેલા શખ્સે મેરૂભાઈ ખાચરને માથાના ભાગે લાકડીનો ધોકો મારી દેતા તેમને ગંભીર ઈજા પહોંચતા સૌ પ્રથમ બરવાળા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે મેરૂભાઈને ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયેલ જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજતાં આ બનાવ હત્યામાં પરિણમ્યો હતો. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધાતા બરવાળા પોલીસે એક અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી બનાવની વધુ તપાસ પીએસઆઈ આર.કે.પ્રજાપતીએ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પુર્વ સરપંચ મારૂભાઈ સેવાભાવી હતા હાલમાં તેમની દીકરી સાળંગપુર ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે સેવા આપી રહ્યી છે.