નર્મદાના પટમાં રોડનો ડામર વેસ્ટ ઠલવાતા નદી પ્રદૂષિત બની

(સંવાદદાતા દ્વારા) અંકલેશ્વર,તા.૧૯
અંકલેશ્વર નર્મદા નદીના પટમાં રોડના ડામર વેસ્ટ ઠલવાતા નદી પ્રદૂષિત બની રહી છે. નર્મદા બ્રિજના અંકલેશ્વર તરફના એપ્રોચ રોડ પરથી ડામર કાઢી ઇજારદાર દ્વારા નર્મદા નદીમાં નિકાલ કરવામાં આવી રહ્યો છે. જેના લીધે નદીની જીવ સૃષ્ટિ પર સંકટ ઉભું થયું છે. આ અગાઉ પણ નદીમાં પુરાણ કરવામાં આવતા વિવાદ સર્જાયો હતો. નર્મદા નદી અંકલેશ્વર તરફનો પટ વધુ સાંકળો બની રહ્યો છે. અંકલેશ્વર એસ.ડી.એમ દ્વારા તાત્કાલિક ડામરવેસ્ટ ઉઠાવી લેવા ઇજારદારને કડક સૂચના આપી છે.
ભરૂચ-અંકલેશ્વર વચ્ચે બની રહેલા નવા ફોરલેન માટે જૂના રોડને ખોદી ઉખાડેલા ડામરના પોપડા બ્રિજ બનાવતી કંપની દ્વારા નદીના પટમાં પાથરી રસ્તો બનાવવાની કવાયત હાથ ધરતા વિવાદ છેડાયો છે. ગોલ્ડન બ્રિજને સમાંતર નવો નર્મદા બ્રિજની કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે. સમય મર્યાદા પૂર્ણ થયા બાદ પણ બ્રિજનું કામ પૂર્ણ થયું નથી. બ્રિજની દક્ષીણે ભરૂચથી અંકલેશ્વર સુધી નવો ફોર લેન માર્ગ પણ હાલમાં તૈયાર થઈ રહ્યો છે. જેમાં તત્કાલિન ધોરણે નવો માર્ગ બનાવી જૂના માર્ગ ઉપરથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને જૂના માર્ગને ખોદી તેના ઉપર નવો માર્ગ બનાવવાની કવાયત પણ હાથ ધરાઇ છે. આ જૂના માર્ગ ઉપરથી ખોદાયેલા રોડના ડામરના પોપડા, જે તે કોન્ટ્રાકટર દ્વારા નદીના પટમાં ઠાલવી દેવામાં આવ્યો છે અને રસ્તો બનાવવાની કવાયત હાથ ધરાતામાં નર્મદા બ્રિજનું બાંધકામ ફરી એક વખત વિવાદની એરણે ચઢ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts