અમરેલી,તા.ર૮
ધારી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પોલીસ કોન્સ.મહેન્દ્ર મેરામભાઇ વાળાને ગત તા.૨૬/૦૬/૨૦૧૮ના રોજ પોલીસના બાતમીદાર સીરાજભાઇ વલીભાઇ ઓઠ્ઠા રહે.ધારી નવી વસાહત વાળાએ બાતમી આપેલ કે ધારી નવી વસાહતમાં રહેતાં રમેશ બાબુભાઇ મકવાણા ના મકાનના ધાબા ઉપર ઇગ્લીશ દારૂ સંતાડેલ છે. તેમજ તેજ તારીખે નાઇટ રાઉન્ડમાં રહેલ ધારી પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ. ઉમેશભાઇ ભાણકુભાઇ માંજરીયાને પોલીસના બાતમીદાર સતીષભાઇ ડેડાણીયા રહે.ધારી વેકરીયા પરાવાળાએ પણ રમેશભાઇ બાબુભાઇ મકવાણાના ધરે છત ઉપર ઇગ્લીશ દારૂ હોવાની બાતમી આપેલ હતી.ધારી પોલીસ સ્ટેશનના બંને પોલીસ કોન્સ.ને એકજ વ્યક્તિના ધરે ઇગ્લીશ દારૂ હોવાની અલગ-અલગ બાતમીદારોએ માહિતી આપેલ હતી. જે બાતમી આધારે ધારી નવી વસાહત ખાતે રહેતાંરમેશભાઇ બાબુભાઇ મકવાણા ના રહેણાંક મકાને પંચો સાથે રેઇડ કરતાં મકાનના ધાબા (છત) ઉપરથી દારૂની કૂલ બોટલ-૧૯ કિ.રૂા.૭૬૦૦/- નો મુદામાલ મળી આવેલ હતો. જેથી મકાનના માલીક રમેશભાઇ બાબુભાઇ મકવાણા ની પુછપરછ કરતાં તેઓ કયારેય કોઇ પ્રકારનો દારૂ લાવેલ નથી. કે દારૂ પીતા પણ નથી.અને આગલી રાત્રે મારી છત ઉપર કાંઇક અવાજ આવતો હતો પરંતુ ચોમાસા જેવું વાતાવરણ હોય હું જોવા ગયો ન હતો. આ દારૂ મને ખોટા કેસમાં ફીટ કરવા માટે કોઇ મુકી ગયેલ છે. તેવી વિગત જણાવેલ હતી.
જેથી ધારી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. કે.ડી.ગોહિલે મકાન માલીકની વાતમાં સત્ય જણાતા અને ખરેખર ઈગ્લીશ દારુ અન્ય કોઇનો હોઇ શકે તેવું જણાઇ આવતાં પોલીસના બાતમીદારો (૧)સીરાજભાઇ વલીભાઇ ઓઠ્ઠા રહે.ધારી નવી વસાહત (૨) સતીષભાઇ ડેડાણીયા રહે.ધારી વેકરીયાને બોલાવી પૂછપરછ કરતાં આ ઈગ્લીશ દારૂ પોતેજ ત્યાં મુકેલાની હકિકત જણાવેલ જેથી વધુ કડક પૂછપરછ કરતાં નીચે મુજબની હકિકત જાણવા મળેલ.
જેમાં (૧) ઇલીયાસ મુસાભાઇ સૈયદ રહે.ધારી.(૨) સીરાજ વલીભાઇ ઓઠા રહે. ધારી (૩) સતીષ કરશનભાઇ ડેડાણીયા રહે.ધારી (૪) નીતીન પુનાભાઇ બાભણીયા રહે.ઉના મોદસર હજરતશાહપીરની દરગાહ પાછળ તા.ઉના જી.ગીરસોમનાથ હાલ ધારી વેકરીયા પરા વાળાઓને ધારી નવી વસાહતમાં રહેતાં રમેશ બાબુભાઇ મકવાણા સાથે મિલકત બાબતે વાંધા ચાલતા હોય અને રમેશભાઇ મકાન ખાલી ન કરતાં હોય જેથી ઉપરોકત ચારેય ઇસમોએ ઇગ્લીશ દારુ મંગાવી રમેશભાઇ મકવાણાની છત ઉપર મુકી ગુન્હાહીત કાવતરૂ રચી પોલીસને ખોટી બાતમી આપી ખોટા કેસમાં ફીટ કરી દેવાનો પ્લાન બનાવેલ જેથી રમેશભાઇ મકવાણા તેના મકાનનો કબ્જે ખાલી કરી આપે.તેવી વિગત જણાયેલ.જેથી ઉપરોક્ત ચારેય શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ અને ઉપરોકત ચારેય ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસના બાતમીદારોએ પોલીસને ખોટી માહિતી આપી નિર્દોષ નાગરીકને ખોટા કેસમાં ફીટ કરાવી દેવાના કાવતરાનો પર્દાફાશ થયેલ છે.અને પોલીસને ખોટી બાતમી આપી નિર્દોષ વ્યકતિને ફસાવી દેવાનું વિચારતાં લોકો માટે આ એક દાખલા રૂપ કિસ્સો છે.અને ભવિષ્યમાં આવી રીતે પોલીસને કોઇ ખોટી બાતમી આપી નિર્દોષ વ્યક્તિઓને ફસાવી દેવા ખોટી બાતમી આપનાર વિરૂધ્ઘ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.