(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૦
ભાજપ સરકાર દ્વારા મુખ્ય રીતે ચૂંટણી પ્રચાર દરમિયાન ચલાવાયેલા ‘અચ્છે દિન’, ‘બ્લેક મની’ જેવા મુદ્દાઓ હવે ઠગારી આશા અને ખોટા વાયદા સાબિત થઇ રહ્યા છે. નીતિ આયોગના રિપોર્ટમાં યુપી, બિહાર અને ઝારખંડ જેવા એનડીએ શાસિત રાજ્યોનું સામાજિક સૂચકાંકમા પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું છે. નીતિ આયોગ દ્વારા સ્વાસ્થ્ય અને શિક્ષણ અંગેના રિપોર્ટમાં ગુજરાતનું દાહોદ શહેર ઔદ્યોગિક દૃષ્ટિએ ટોચના સ્થાને છે જ્યારે એનડીએ શાસિત રાજ્યો આ મામલે તળિયે જતા રહ્યા છે.
શિક્ષણ અને સ્વાસ્થ્યની સ્થિતિએ પ્રથમ કેટેગરીના મહમત્ત્વકાંક્ષી જિલ્લાઓમાં ગુજરાતના દાહોદ, પશ્ચિમ સિક્કીમ, તમિલનાડુનું રાજનાથપુરમ, આંધ્રપ્રદેશનું વિજયાનગરમ અને આંધ્રપ્રદેશના વાય.એસ.આર.નો સમાવેશ થાય છે. જમ્મુ અને કાશ્મીરનો કૂપવાડા પણ પ્રગતિશીલ જિલ્લાઓમાં સામેલ છે જ્યારે એનડીએ શાસિત રાજ્યો ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ અને છત્તીસગઢ જેવા રાજ્યોના જિલ્લાઓનો સમાવેશ થતો નથી. મુખ્યમંત્રી નીતિશકુમારની આગેવાનીમાં છેલ્લા ૧૩ વર્ષથી સત્તામાં રહેલી એનડીએ શાસિત રાજ્યના બેગુસરાય, બાંકા, ખગડિયા જિલ્લાઓની સ્થિતિ યાદીમાં સૌથી ખરાબ છે. નીતિ આયોગની સૌથી ખરાબ સ્થિતિવાળા જિલ્લાઓમાં માઓવાદ અસરગ્રસ્ત સુકમાનો અંતિમ ૧૦મા સમાવેશ થાય છે. સ્વાસ્થ્ય અને પોષણના આધાર પર બેઝલાઇનમાં ૧૦૦મા સ્થાન પર રહેલા તેલંગાણાનો ભૂપલપલ્લી જિલ્લો પૂર્વ અને પ્રસવપૂર્વ દેખભાળમાં ચોથા સ્થાને આવી ગયું છે. શૈક્ષણિક સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ટોચના પાંચ જિલ્લાઓમાં આંધ્રપ્રદેશના વિજયાનગરમ, વાય. એસ. આર. અને વિશાખાપટ્ટનમ, ગુજરાતનો દાહોદ, બિહારના ઔરંગાબાદ જ્યારે સૌથી ખરાબ પ્રદર્શન કરનારા જિલ્લાઓમાં ભાજપ શાસિત રાજ્યોના ઉત્તરપ્રદેશના ચિત્રકૂટ અને બલરામપુર તથા બિહારના નવાડા, ખગડિયા અને પુરણિયાનો સમાવેશ થાય છે.