(એજન્સી) તા.૬
મોદી સરકારના કેબિનેટ મંત્રી નીતિન ગડકરીએ અનામત અને દેશમાં ઘટતી જતી નોકરીઓ વિશે કરેલા નિવેદન પછી કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા. સોમવારે કોંગ્રેસ પ્રમુખે કહ્યું હતું કે, ‘બહુ જ સારો પ્રશ્ન છે ગડકરીજી. દરેક ભારતીય પણ આ જ પ્રશ્ન પૂછી રહ્યો છે કે, નોકરીઓ ક્યાં છે ?’ ઉલ્લેખનીય છે કે, રવિવારે પત્રકારો સાથે વાતચીત કરતાં માર્ગપરિવહન મંત્રી ગડકરીએ કહ્યું હતું કે, અનામત રોજગારની ગેરંટી આપતું નથી કારણ કે, નોકરીઓ ઘટી રહી છે. ગડકરીએ કહ્યું હતું કે, ચાલો ધારી લઈએ કે, અનામત આપી દેવામાં આવે છે. પરંતુ દેશમાં નોકરીઓ જ નથી. બેંકોમાં આઈટીના કારણે નોકરીઓ ઘટી છે. સરકારી નોકરીઓ માટેની ભરતી પ્રક્રિયા ઠપ છે. દેશમાં નોકરીઓ ક્યાં છે ? આર્થિક આધાર પર અનામત આપવાનો પણ વિચાર વ્યક્ત કર્યો હતો. જો કે, પાછળથી તેમણે ટિ્વટ કરીને સ્પષ્ટતા કરી રહી કે, જ્ઞાતિને બદલે આર્થિક આધાર પર અનામત આપવાની સરકારની કોઈ યોજના નથી.