(એજન્સી) નવી દિલ્હી,તા.૬
સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેન્કને નોટિસો મોકલાવી જવાબ માંગ્યો છે કે લોકો પ૦૦ અને ૧૦૦૦ની જૂની નોટો ૩૧મી માર્ચ સુધી કેમ જમા કરાવી નહીં શકે ? સુપ્રીમ કોર્ટ ચાર અરજીઓની સુનાવણી કરી રહી હતી. જેમાં જણાવાયું હતું કે રિઝર્વ બેન્ક જૂની નોટો સ્વીકારવાની ના પાડે છે જ્યારે કેન્દ્ર સરકાર આ બાબત દિશા નિર્દેશો આપ્યા હતા. સુપ્રીમ કોર્ટની બેન્ચના મુખ્ય ન્યાયાધીશ જે.એસ. ખેહરની અધ્યક્ષતાવાળી બેન્ચે ૧૦મી માર્ચ સુધી જવાબ માંગ્યો છે. અરજદારના વકીલે દલીલ કરી કે રિઝર્વ બેન્ક કેન્દ્ર સરકારના ૮મી નવેમ્બ્રના જાહેરનામાનો ભંગ કરી રહી છે. વકીલે વડાપ્રધાન મોદીનું સંબોધન ટાંક્યુ હતું. જેમાં મોદીએ કહ્યું હતું કે, જે લોકો ૩૧મી ડિસેમ્બર ર૦૧૬ સુધી નોટો જમા નહીં કરાવી શકશે એ લોકો બાંહેધરી અને પૂરતા કારણો આપી ૩૧મી માર્ચ ર૦૧૭ સુધી નોટો જમા કરાવી શકશે. જો કે, ૩૧મી ડિસેમ્બરે રિઝર્વ બેંકે જાહેરનામું બહાર પાડી ખુલાસો કરી જણાવ્યું કે, જે લોકો ૯મી નવેમ્બરથી ૩૦ ડિસેમ્બર સુધી વિદેશ ગયેલ હશે ફકત એ જ લોકો ૩૧મી માર્ચ ર૦૧૭ સુધી જૂની નોટો જમા કરાવી શકશે અને એનઆરઆઈ લોકો ૩૦મી જૂની નોટો જમા કરાવી શકશે. આના લીધે રિઝર્વ બેંકની અમુક શાખાઓની બહાર વિરોધ પ્રદર્શનો થયા હતા. પ્રદર્શનકારીઓ જણાવી રહ્યા હતા કે એમને આ પ્રકારની જાહેરનામાની કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.