નોટબંધી : દેશની તમામ જિલ્લા સહકારી બેંકો પૈકી અમિત શાહના ડાયરેક્ટર પદવાળી બેંકે સૌથી વધારે મૂલ્યની રદ કરાયેલી નોટો જમા લીધી

(એજન્સી) તા.૨૧
મુંબઈના એક સામાજિક કાર્યકરે દાખલ કરેલી આરટીઆઈના જવાબમાં જાણવા મળ્યું હતું કે, ૮ નવેમ્બર, ર૦૧૬ના દિવસે જાહેર કરવામાં આવેલી નોટબંધીના ફક્ત પાંચ દિવસમાં જ અહેમદાબાદ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેંકમાં ૭૪૫.૫૯ કરોડ રૂપિયાના મૂલ્યની પ્રતિબંધિત નોટો જમા થઈ હતી. જિલ્લા સહકારી બેંકોમાં જમા કરાવવામાં આવેલી જૂની નોટોની આ સૌથી મોટી રકમ છે. રસપ્રદ વાત તો એ છે કે, ભાજપ પ્રમુખ અમિત શાહ ઘણા વર્ષોથી આ બેંકના ડાયરેક્ટર પદે છે. વર્ષ ૨૦૦૦માં તે આ બેંકના ચેરમેન પણ રહી ચૂકયા છેે. ઉલ્લેખનીય છે કે, ૮ નવેમ્બર ર૦૧૬ના દિવસે જાહેર કરવામાં આવેલી નોટબંધીના પાંચ દિવસ પછી ૧૪ નવેમ્બરે જિલ્લા સહકારી બેંકો પર જૂની નોટો સ્વીકારવાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પગલાં પાછળ એ ભય હતો કે, જિલ્લા સહકારી બેંકોના માધ્યમ વડે કાળાનાણાં ઠેકાણે પાડવામાં આવી રહ્યા છે. જૂની નોટો જમા કરવામાં બીજા નંબરે રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો.ઓપરેટિવ બેંક હતી. આ બેંકમાં ૬૯૩.૧૯ કરોડ રૂપિયાના મૂલ્યની જૂની નોટો જમા થઈ હતી. આ બેંકના ચેરમેન જયેશભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા છે. જે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારમાં કેબિનેટ મંત્રી છે. અહીં નોંધવા જેવી વાત એ છે કે, નોટબંધીના પ્રથમ પાંચ દિવસમાં સમગ્ર રાજ્યમાં વ્યાપ ધરાવતી ગુજરાત સ્ટેટ કો.ઓપરેટિવ બેંકમાં ફક્ત ૧.૧૧ કરોડ રૂપિયાના મૂલ્યની જૂની નોટો જમા થઈ હતી. આમ, આ આરટીઆઈના આંકડાઓ ઘણા સૂચક છે. આ આરટીઆઈ દાખલ કરનાર કાર્યકર મનોરંજન એસ.રોયે કહ્યું હતું કે, ‘નોટબંધી પછી પ્રથમ વખત રાજ્ય સહકારી બેંકો (એસસીબી) અને જિલ્લા સહકારી બેંકોમાં જમા થયેલી રકમનું આ આરટીઆઈ હેઠળ ખુલાસો થયો છે અને આ ખુલાસો હેરતજનક છે.’

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks