ગોધરા, તા.૨૭
ગોધરા શહેરના દાહોદ રોડ ઉપર આવેલ મિશન સ્કૂલની સામે દડી કોલોનીમાં ત્રણ માળના મકાનમાં પંચમહાલ જિલ્લાના વિવિધ તાલુકાના ગરીબ આદિવાસી બાળકોને હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ કરાવતા હોવાની બૂમ સોસાયટીના રહીશો દ્વારા કરવામાં આવી હતી અને આ અંગે સોસાયટીના રહીશો દ્વારા કલેક્ટર તેમજ પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પણ આપવામાં આવનાર છે. ગોધરા શહેરની દડી કોલોની ખાતે મકાન નં.૨૧ ત્રણ માળના મકાનમાં પંચમહાલ જિલ્લાના વિવિધ તાલુકાઓ જેવા કે, જાંબુઘોડા, ઘોઘંબામાંથી આદિવાસી વિસ્તારના કુલ રજિસ્ટર નોંધણી થયેલ પ્રમાણે-રપ બાળકોને હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મ અંગિકાર કરવા પ્રેરાય છે. તેવી માહિતી સોસાયટીના અન્ય રહીશોને થતા રહીશો દ્વારા મકાન નં.૨૧ કે જેના માલિક તરીકે પી.જે.ક્રિસ્ટોફર છે. જેઓ દ્વારા ગેરકાયદેસર સરકારની કોઈપણ મંજૂરીવગર ધી ટ્રાન્સફરન્ટ મૂવમેન્ટ, ગોધરા નામની હોસ્ટેલ ચલાવે અને બાળકોને ખ્રિસ્તી ધર્મનો પવિત્ર ગ્રંથ બાઈબલ વાંચવા તથા પ્રાર્થના માટે પ્રેરે છે. તેવી માહિતી સોસાયટીના રહીશોએ આપી હતી. આ અંગે આ હોસ્ટેલ ચલાવતા સંચાલક પી.જે.ક્રિસ્ટોફર કોઈક અંગત કામ અર્થે બહાર ગયા હોઈ તેથી તેમની ગેરહાજરીમાં હોસ્ટેલ ચલાવતા સિસ્ટર યેસ્ટા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, અમે અહીં ગરીબ આદિવાસી બાળકોને તેમના વાલીઓને જાણ કરીને અને વાલીઓ દ્વારા તેમને સારૂ શિક્ષણ, સંસ્કાર, ગંદી કૂટેવો ના પડે અને બાળકોની પ્રગતિ થાય તે ઉદ્દેશથી રાખીએ છીએ અને એક સારા વ્યક્તિ બનાવવાની કોશિશ કરીએ છીએ. આ અંગેની આ જ હોસ્પિટલમાં રહેતી કોળી સોનલ નામની આદિવાસી વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, હું જાંબુઘોડા ગામની છું અને અહીં મારા વાલીઓએ અભ્યાસ માટે મૂકી છે તથા અહીં અમને પવિત્ર બાઈબલ વાંચવા તથા પ્રાર્થના કરવા કહેવામાં આવે છે અને અમે તેમ કરીએ છીએ અને સંસ્થા દ્વારા અમારા વાલીઓને રૂપિયા પણ આપવામાં આવે છે. આ અંગે સોસાયટીના રહીશ અને હોસ્ટેલની બાજુમાં આવેલ મકાનના રહેવાસી મનહરસિંહ ગણપતસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે, અહીં છેલ્લા કેટલાક વર્ષોથી આ મકાનમાં આદિવાસી વિસ્તારના બાળકો લાવીને તેમને ધર્માંતરણ કરવા પ્રેરે છે અને ખ્રિસ્તી ધર્મની પ્રાર્થના પણ વહેલી સવારે કરાય છે. ઉલ્લેખનીય છે કે, આ હોસ્ટેલ છેલ્લા ૯ વર્ષથી કાર્યરત છે. જેથી હોસ્ટેલ ચલાવવાની મંજૂરી સરકાર પાસેથી લીધેલી છે કે, કેમ ? તેમજ આ બનાવની વધુ તપાસ માટે સોસાયટીના રહીશો આવતીકાલે કલેક્ટર અને પોલીસવડાને આવેદનપત્ર આપવા જનાર છે. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.