(સંવાદદાતા દ્વારા) ઉના,તા.૧૧
ઉના પંથકમાં પ્રથમ વરસાદે સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર મચાવી દીધો હતો. અને ઠેર-ઠેર જ્યાં જોઇએ ત્યા પાણી પાણી અને નદી, નાળા, તળાવ, ડેમો ભરાય ગયા છે. તેમ છતાં પાણીએ તંત્રના વાકે પીવાના પાણી વગર તરસી રહી હોવા છતાં રાવલ ડેમ જુથ યોજનાના અધિકારીઓના પેટના પાણી હલતા ન હોવાથી લોકોમાં ભારે રોષ વ્યાપી રહ્યો છે.
તાલુકાના દરિયાઇ કાંઠા વિસ્તારમાં આવેલ નવાબંદર ૧૫ હજાર વસ્તી ધરાવતુ ગામ હોય છેલ્લા ૪૦ દિવસથી પાણીની સમસ્યાને લઇ મોકાણ મચી હોય ગ્રામજનોને પીવા અને વાપરવા માટેનુ પાણી મળવુ મુશ્કેલ બની રહ્યુ છે. અને પીવાના પીઠા પાણી માટે ઘર-ઘર ભટકવુ પડે છે. આ પાણીની સમસ્યા કુદરતી નહી પરંતુ સરકારના પાણી સિંચાઇ વિભાગની રાવલ જુથ યોજના ચલાવતા અધિકારીઓના પાપે સર્જાય છે. તંત્ર અને નવાબંદર ગ્રામ પંચાયતના સરપંચ તેમજ આગેવાનો દ્વારા લેખિત મોખિત રજૂઆતો કરવા છતાં નવાબંદરની પાણી સમસ્યા હલ કરાતી ન હોય લોકોને મીઠા પાણી બહારથી ટેન્કરો વેચાતા મંગાવીને જરૂરીયાત પુરી પાડવામાં આવે છે. આ વેચાતુ પાણી પણ પુરૂ વસ્તી મુજબ થતુ ન હોય તંત્રની બેદરકારીને કારણે લોકોએ છતે પાણીએ વલખા મારી રહી છે.