(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧૬
રાજ્યમાં જીએસએફસીના ખાતર ડેપો ઉપર ખેડૂતોને ખાતરની થેલીમાં એક કિલો સુધી ઓછું ખાતર મળતું હોવાના કૌભાંડનો પર્દાફાશ કિસાન કોંગ્રેસ અને ખેડૂતોની સંસ્થાઓએ કર્યા છતાં રાજ્ય સરકાર કૌભાંડને છુપાવવાનો પ્રયત્ન કરે છે. આથી સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં લઈ કૌભાંડમાં સામેલ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. ઉપરાંત જવાબદારો ખેડૂતો અને જનતા સમક્ષ ખુલ્લા પડે તે માટે જીએસએફસીના બોર્ડ ઓફ ડીરેક્ટર્સને વિખેરીને હાઈકોર્ટના સિટિંગ જજ મારફત સમગ્ર ખાતર કૌભાંડની તપાસ કરવા વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી માગણી કરી છે. તેમણે પત્રમાં મુખ્યમંત્રીને જણાવ્યું છે કે, ખાતર કૌભાંડનો પર્દાફાશ થયેલ હોવા છતાં રાજ્ય સરકાર જીએસએફસીના અધિકારીઓને મહોરૂં બનાવીને કૌભાંડને છુપાવવાના પ્રયત્નો કરે છે. રાજ્ય સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં લઈને કૌભાંડમાં સામેલ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરી, જીએસએફસીના બોર્ડ ઓફ ડીરેક્ટર્સને બરખાસ્ત કરવું જોઈએ. ખાતર કૌભાંડ બાબતે જીએસએફસીના અધિકારીઓ પણ સ્વીકારે છે કે, આઈએસઆઈ-૯૦૦૧ સ્ટાન્ડર્ડની કંપનીમાં ૧૬ લાખ રૂપિયાની ક્ષતિ છે. એટલે કે નાનું હોય કે મોટું ખોટું/ક્ષતિ/કૌભાંડ તો થયું જ છે. બીજું કે રાજ્યના જીએસએફસીના ડેપો ઉપર વજન કાંટો રાખવામાં આવતો નથી. કાયદા મુજબ વજન કાંટો ન રાખવો એ પણ ગંભીર બેદરકારી જ છે. તેમજ ખાતરની થેલી પર કાયદા મુજબ જરૂરી માહિતી જેવી કે બેચ નંબર, ઉત્પાદન સમય પણ છાપવામાં આવતા નથી. રાજ્યના ખેડૂતો સાથે સરકાર વારંવાર વિશ્વાસઘાત અને છેતરપિંડી કરે છે. ટેકાના ભાવે મગફળી આપવા માટે ખેડૂતોએ લાંબી રાહ જોઈ, ત્યારબાદ ચોક્કસ સ્થળોએથી ગેરરીતિ કરીને ખરીદવામાં આવેલ કે ખરીદ્યા બાદ કરવામાં આવેલ ગેરરીતિ બહાર ન આવે એટલે ગોડાઉનો જ સળગી ગયા, ત્યારબાદ ખેડૂતો પાસેથી સારી ગુણવત્તાની ટેકાના ભાવે ખરીદવામાં આવેલ તુવેરનું કૌભાંડ બહાર આવ્યું. ઊંચા વીમા પ્રીમિયમ ભરીને ખાનગી વીમા કંપનીઓએ કરોડો રૂપિયા સરકારના આશીર્વાદથી ભેગા કર્યા પણ રાજ્યમાં ખેડૂતો દુષ્કાળનો સામનો કરી રહ્યા છે. તેવા કપરા સમયમાં પણ પાક વીમાના નામે ખેડૂતોને અડધો ટકો પાક વીમો ચુકવીને ખેડૂતોની મજાક કરવામાં આવી. રાજ્યના ઘણાં વિસ્તારોમાં અછતની સ્થિતિ પ્રવર્તી રહી છે. રાજ્યના ખેડૂતોની પીવા અને સિંચાઈનું પાણી, પશુઓ માટે પાણી તથા ઘાસચારો અને રાહત કામગીરી કરવાના સમયે વર્ષોથી ખેડૂતોને ખાતર ઓછું આપવાના કૌભાંડનો પર્દાફાશ થયો એટલે સરકાર ખેડૂતોને વળતર આપવાના બદલે ખાતર કૌભાંડ આચરનારને છાવરવામાં પડી હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે.