અમદાવાદ, તા.૪
હાર્દિક પટેલના ઉપવાસ ૧૧મા દિવસે પહોંચયા છે ત્યારે સરકારે આ મામલે પ્રતિક્રિયા આપતાં હાર્દિકના આંદોલનને રાજકીય અને કોંગ્રેસ પ્રેરિત ગણાવતાં મામલો ગરમાયો છે. પાસના પૂર્વ નેતા દિનેશ બાંભણીયાએ મંત્રી સૌરભ પટેલના નિવેદન મામલે તીખો વળતો હુમલો કરતાં કહ્યું કે, સરકાર પાટીદારો સાથે ભેદભાવ અને વ્હાલા દવાલાની નીતિ અપનાવી રહી છે. સરકારે આ મામલે યોગ્ય ઉકેલ લાવવા માટે વાટાઘાટો માટે પહેલ કરવી જ જોઇએ. જો આમ નહીં થાય તો ગુજરાત સરકારે આ માટે પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. પાટીદાર સમાજને અનામત અને ખેડૂતોના દેવા માફી સહિતના મુદ્દે ગુજરાતની ભાજપ સરકાર સામે હાર્દિક પટેલે ઉપવાસ શરૂ કર્યા છે. ઉપવાસ આંદોલન આજે ૧૧મા દિવસે પ્રવેશતાં રાજકીય મામલો ગરમાયો છે. વિપક્ષ અને અન્ય પાર્ટીઓના નેતાઓ હાર્દિક પટેલની તબિયતના ખબર પુછી રહ્યા છે. મંગળવારે આ મામલે પ્રથમ વખત સરકાર તરફથી નિવેદન આપતાં મંત્રી સૌરભ પટેલે કહ્યું હતું કે, આ આંદોલન કોંગ્રેસ પ્રેરિત અને રાજકીય છે. મંત્રીના આ નિવેદન સામે વળતો જવાબ આપતાં પાસના પૂર્વ નેતા દિનેશ બાંભણીયાએ આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, સરકાર પાટીદારોની અવગણના કરીને આ આંદોલનને કોંગ્રેસ પ્રેરિત ગણાવી રહી છે આજે મંત્રી સૌરભ પટેલે જે વાત કરી છે એ સ્પષ્ટ પણે જણાય છે કે, સરકાર પાટીદાર સાથે ભેદભાવ અને વ્હાલા દવાલાની નીતિ રાખી રહી છે. કોંગ્રેસ પ્રેરિત આંદોલન હોય કે, વિરોધ પક્ષો સમર્થન કરી રહ્યા હોય તો એને કોંગ્રેસ પ્રેરિત ન કહી શકાય પરંતુ સમાજની માંગણીઓને સાંભળવાને બદલે આજે આંદોલનને દબાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. પાટીદાર સમાજને ખબર છે કે, ભારતીય જનતા પાર્ટીનું વલણ સમાજ માટે કેવું રહ્યું છે. બીજુ એ કે સરકારે કહ્યું કે, એમને હાર્દિકની ચિંતા છે. જો એમને ચિંતા હોય તો જો કોઇ વ્યક્તિ સમાજ માટે કંઇ કરી રહ્યો હોય તો આ મામલે વાટાઘાટો થવી જોઇએ.