(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૨૪
કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આગામી ૨૦થી ૨૨ ડિસેમ્બર દરમિયાન ત્રણ દિવસની ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સ યોજાશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૧ ડિસેમ્બરે હાજરી આપશે. જ્યારે ૨૦ ડિસેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ ડીજી કોન્ફરન્સમાં આવશે. આગામી ૨૦થી ૨૨ ડિસેમ્બર દરમિયાન કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તમામ રાજ્યોનાં પોલીસ વડાની ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સ યોજાનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૧ ડિસેમ્બરે ડીજી કોન્ફરન્સમાં હાજરી આપશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયામાં રાત્રી રોકાણ કરશે અને તેઓ ૨૨ ડિસેમ્બરે દિલ્હી પરત ફરશે. જ્યારે ૨૦ ડિસેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ ડીજી કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશેે. આ બેઠકમાં દેશની આંતરિક સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવા ઉપરાંત બાહ્ય પડકારો આંતકવાદ સહિતના વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહની સાથે સાથે દેશના તમામ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના ડીજી સહિત એસપીજી, આઇબી, બીએસએફ, સીઆરપીએફ, સીઆઇએસએફ, આઇટીબીપી, એસએસબીસીનાં ડીજી પણ આ કોન્ફરન્સમાં હાજરી આપશે. વડાપ્રધાનની મુલાકાતને પગલે આગામી ૨૦થી ૨૨ ડિસેમ્બર સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રહેશે અને આ ત્રણેય તારીખો દરમિયાન ઓનલાઇન બુકિંગ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.