(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૧૯
શહેરના વરાછા વિસ્તારમાં આવેલ શ્રધ્ધા ડાયમંડે રૂા.૪૬.પ૯ લાખની કિંમતનો રફ હીરાનો જથ્થો ખરીદી પેમેન્ટ નહી ચુકવી વિશ્વાસઘાત છેતરપિંડી કર્યા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવા પામી છે.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ડુંભાલ અક્ષર ટાઉનશિપના રહેતા રૂપારામ મંગારામ સાંઈએ આરોપી શ્રધ્ધા ડાયમંડ (પ્રો. જીવાણી જિતેશભાઈ જીવરાજભાઈ (ડાહ્યા પાર્ક સોસાયટી, એલ.એચ. રોડ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી જીવાણી જિતેશભાઈ એ ફરિયાદી રૂપારામ પાસેથી રૂ. ૪૬,૫૯,૦૨૪ની કિંમતનો રફ હીરાનો માલ ખરીધ્યો હતો. આ માલ બારોબાર વેચી દઈ ફરિયાદીને રૂપિયા નહીં ચૂકવી વિશ્વાસઘાત- છેતરપિંડી કરી હતી. કાપોદ્રા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે માલ ખરીદી પેમેન્ટ નહીં કરવાના કિસ્સા ટેક્સટાઈલ્સ ઉદ્યોગમાં બનતા હતા હવે સુરતની શાન સમા હીરા ઉદ્યોગમાં પણ હીરા ખરીદી પેમેન્ટ નહીં ચૂકવવાના બનાવો ઉત્તરોત્તર વધવા લાગતા હીરા ઉદ્યોગમાં પણ અવિશ્વાસના માહોલ સર્જાયો છે. વર્ષોથી ઈમાનદારીપૂર્વક હીરા લે-વેચનો કારોબાર કરતા વેપારીઓ પૈકીના કેટલાક વેપારીઓએ ઉઠમણા શરૂ કરી દેતા હીરાના વેપારમાં પણ ભયની લાગણી વ્યાપી જવા પામી હોવાનું જાણવા મળે છે.