(એજન્સી)નવી દિલ્હી, તા.ર૮
સોનિયા ગાંધીએ અધ્યક્ષ પદ છોડયા બાદ હવે તેઓ સક્રિય રાજકારણમાંથી પણ સંન્યાસ લેવાની તૈયારીમાં છે. આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં સોનિયા ગાંધીની જગ્યાએ તેમની પુત્રી પ્રિયંકા વાડ્રા રાયબરેલીથી ચૂંટણી લડે તેવી શક્યતા છે.
આ ઉપરાંત પાર્ટીએ ૩૦ લોકસભા બેઠકો પર કેન્દ્રિત રહેવા માટે વ્યૂહ રચના ઘડી છે. આમાંથી રર બેઠકો પર પાર્ટીનું પરંપરાગત વર્ચસ્વ રહ્યું છે. આઠ એવી બેઠકો છે, જ્યાં કોંગ્રેસનો આધાર તો છે, પરંતુ ગત લોકસભા ચૂંટણીમાં તે ચોથા અને પાંચમાં નંંબર પર રહી હતી. કોંગ્રેસમાં પ્રિયંકાને ફ્રન્ટ લાઈન પર લાવવાની માગણી લાંબા સમયથી થઈ રહી છે. સોનિયા ગાંધીના ખરાબ સ્વાસ્થ્યને કારણે પ્રિયંકા લાંંબા સમયથી તેમના સંસદીય ક્ષેત્રને સંભાળી રહી છે અને વિકાસના કાર્યોની દેખરેખ કરે છે. આ કારણોસર રાયબરેલી સંસદીય ક્ષેત્ર માટે પાર્ટીને પ્રિયંકાની ઉમેદવારી સૌથી મજબૂત જોવા મળી રહી છે. રાહુલ ગાંધીની તાજપોશી બાદ સંસદ સત્રમાં સોનિયા ગાંધીએ સક્રિય રાજકારણમાંથી દૂર થવાના સંકેત પણ આપ્યા હતા. પાર્ટી પ્રવકતા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું છે કે પ્રિયંકા વાડ્રા કોંગ્રેસમાં હંમેશાથી સક્રિય છે. યુપી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અખિલેશસિંહે સોનિયા ગાંધીની સક્રિય રાજકારણમાંથી વિદાય અને પ્રિયંકાના રાયબરેલીમાંથી ચૂંટણી લડવાના પ્રશ્ન પર એટલું જ કહ્યું કે હાલ તેમને આ બાબતે કોઈ જ જાણકારી નથી.