(એજન્સી) તા.૧૨
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરતાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે ટિ્વટ કરી હતી. તેમણે આ ટિ્વટમાં ભાજપ શાસિત રાજ્યોમાં દલિતો પર થતા વધતાં જતાં દમન વિશેના ફેક્ટ્સ રજૂ કર્યા હતા. અગાઉ રાહુલ ગાંધીએ મોદીને દલિત વિરોધી વિચારધારા ધરાવતી વ્યક્તિ ગણાવ્યા હતા. જોકે તેના બાદ ભાજપના અધ્યક્ષ અમિત શાહે રાહુલ પર પ્રહારો કર્યા હતા. શાહના સંદર્ભમાં રાહુલે ટિ્વટ કરતાં કહ્યું હતું કે જ્યારે મેં ભાજપને દલિત અને આદિવાસીઓ વિરુદ્ધ હિંસાને વેગ આપતી પાર્ટી ગણાવી ત્યારે ૫૬ની છાતીવાળાના બેસ્ટ બડી, મને મારા જ તથ્યો ચકાસવાનું કહે છે. મને આશા છે કે જે તથ્યો મેં સાથે સાંકળ્યા છે તે પોતે પણ ચકાસી લેશે. તેમણે એક રિપોર્ટ પર અટેચ કરતાં દાવો કર્યો હતો કે ભાજપ શાસિત રાજ્યોમાં અનુસૂચિત જનજાતિ વિરુદ્ધ સૌથી વધુ ગુના આચરાયાના કેસ નોંધાયા હતા. ૨૦૧૬ના નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના ડેટા અંગે તેમણે કહ્યું કે દલિતો વિરુદ્ધ આચરાતી હિંસા મામલે ટોચના પાંચ દેશોમાં યુપી, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે શાહે ગુરુવારે રાહુલ પર કટાક્ષ કર્યો હતો. એક પછી એક ટિ્વટમાં તેમણે રાહુલની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાનના વારસામાં આજે એસસી/એસટી એક્ટ એવા મજબૂત કાયદાનો સમાવેશ થાય છે, ઓબીસી કમિશન સામેલ છે જ્યારે કોંગ્રેસની લિગસીમાં દલિત નેતાઓ, મંડલ કમિશનના રિપોર્ટને નકારવો તથા ઓબીસી સંસ્થાને સશક્ત ન બનવા દેવા જેવા કાર્યોનો સમાવેશ થાય છે. તેમણે આ ટિપ્પણી ત્યારે કરી હતી જ્યારે રાહુલ ગાંધી જંતર મંતર ખાતે દેખાવોમાં જોડાયા હતા અને મોદીની દલિત વિરોધી નીતિઓની આકરી ટીકા કરી હતી.