(એજન્સી) નવી દિલ્હી, તા. ૬
થોડા દિવસો અગાઉ વિદેશ પ્રવાસેથી પરત આવનાર કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને અગ્રિમતા આપવા માટે પોતાના એજન્ડામાં નક્કી કરવા માટેના પ્રયાસો શરૂ કર્યાં છે. રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટીને ચોખ્ખું કહ્યું છે કે નીતિશ કુમાર સાથે ગઠબંધનને અગ્રિમતા આપવામાં આવે. રિપોર્ટ અનુસાર તેઓ એક એવું મિશન ઈચ્છી રહ્યાં છે જે તેમની આગેવાની કરતું હોય. રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું કે રાહુલ ગાંધી આવતે અઠવાડિયે વિપક્ષી નેતાઓની એક બેઠક બોલાવી રહ્યા છે અને તેઓ નીતિશ કુમારને અલગ મળવાના છે. નીતિશ કુમારે એવી જાહેરાત કરી છે કે તેઓ એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને ટેકો આપશે. રાહુલ ગાંધીએ નીતિશને એવી જાણ કરી હોવાનું પણ રિપોર્ટમાં જણાવાયું છે કે નીતિશ કુમારની અનુકૂળતા ખાતર આગામી અઠવાડિયે વિપક્ષી નેતાઓની એક બેઠક બોલાવવામાં આવશે. જેમાં ખેડૂતોની દુર્દશા, ખેડૂતોની દેવા માફી તથા તેમના પાકના ભાવ વિશે ચર્ચા કરવામાં આવશે. નીતિશ કુમારે કહ્યું કે હું હજુ પણ વિપક્ષી એકતાના પક્ષમાં છું અને ભાજપના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના ટેકામાં છું. પરંતુ તેમના આ નિર્ણયને કારણે બિહારમાં ગઠબંધન પાર્ટીઓમાં અસંતોષનો સૂર ઉઠ્યો હતો. કોંગ્રેસના સીનિયર નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે બિહારના મુખ્યમંત્રી છીછરા સિદ્ધાંતો ધરાવે છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની શોધ ચલાવી રહી હતી ત્યારે રાહુલ ગાંધી વિદેશ પ્રવાસે ઉપડી ગયા હતા. તેને માટે કોંગ્રેસ દ્વારા એવું કહેવામાં આવ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી આ મુદ્દાની સાથે કામ પાર પાડશે. નીતિશના સમર્થકો તો એવો દાવો કરી રહ્યાં છે કે ફક્ત કોંગ્રેસ જ એકમાત્ર એવી પાર્ટી છે જે તમામ વિપક્ષોને એક સાથે લાવી શકે છે. અને ભાજપ વિરોધી પાર્ટીએ કેવી રીતે આગળ વધવું તે અંગે રાહુલ ગાંધીના વિચારો ખુલ્લા મને સ્વીકારી શકે છે.