(સંવાદદાતા દ્વારા) ધોળકા, તા. ૧૮
ક્ષત્રિય રાજપૂત સમાજ ઉપર ખોટા કેસો અને એટ્રોસિટી કરવા પ્રશ્ને ક્ષત્રિય રાજપૂત સમાજ ધોળકા-બાવળા તાલુકા દ્વારા આજે ધોળકાના પ્રાંત અધિકારી અને અધિક પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ ઘડવામાં આવ્યો હતો. જે અંતર્ગત રાજપૂત છાત્રાલયમાં એકઠા થયેલા રાજપૂત યુવકોએ રેલી સ્વરૂપે પ્રાંત અધિકારીની કચેરી ખાતે બેનરો સાથે ગયા હતા. જ્યાં તેમણે મામલતદાર આર.બી.અંગારીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. જ્યારે અધિક પોલીસ અધિક્ષક વતી ધોળકા ટાઉન પીઆઈ એલ.બી. તડવીએ આવેદનપત્ર સ્વીકાર્યું હતું.
આ અવેદનપત્રમાં જણાવ્યુ છે કે, અમો ધોળકા બાવળા તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજના લોકોને દલિત સમાજ દ્વારા ખોટા ગુનામાં કેસો કરી એટ્રોસિટી કરી ડરાવવામાં આવે છે અને ખોટી એટ્રોસિટી કરવાની ધમકી આપી દાદાગીરી કરવામાં આવે છે. જે ગુનો બન્યો જ ન હોય છતાં મન ફાવે તેવી ફરિયાદ દાખલ કરવામાં આવે છે. પોલીસ દ્વારા પણ કોઈ જ તપાસ કર્યા વિના ફરિયાદ દાખલ કરી ગમે તે કલમો અમારા સમાજના લોકો સામે ગુનો દાખલ કરવામાં આવે છે. તો આ અંગે આપ સાહેબને અમારા ધોળકા-બાવળા તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા નંમ્ર અપીલ છે કે આવા ખોટા કેસો તથા કરવામાં આવતી એટ્રોસિટી બાબતે ન્યાયીક તપાસ કરવામાં આવે અને યોગ્ય સાક્ષી પુરાવા મળ્યા બાદ જ ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી કાર્યવાહી થાય તેવી માંગ છે. વાલથેરા ગામના મૌલિક દ્વારા ધોળકા-બાવળા ૧૦થી વધુ એટ્રોસિટી દાખલ કરવામાં આવે છે. તમામ ગુનાઓ પોલીસે તપાસ કર્યા વિના નોંધી લઈ ફરિયાદ દાખલ કરેલ છે. તો એક જ વ્યક્તિને જ બધી તકલીફો છે. તેમજ એક જ વ્યક્તિને કેમ બધા હેરાન કરે છે. તે બાબતે સચોટ પુરાવા અને તપાસ કરવામાં આવે અને વાલથેરા ગામના ભરત ટોયાભાઈ જાદવ ઉપર પણ ૩૦૭નો ગુનો દાખલ થયેલ હોવા છતાંય પોલીસ તેની ધરપકડ કરતી નથી. આ અંગે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી અપીલ છે.