(એજન્સી) થિરૂવનંતપુરમ, તા.૨૭
કેરળમાં મોટાપાયે લવ જિહાદ હોવાના આરોપો વચ્ચે રાજ્યના પોલીસવડાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં લવ જિહાદ જેવું ચાલી રહ્યું હોવાની અમારી પાસે અત્યાર સુધી કોઇ માહિતી નથી. કેરળના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ લોકનાથ બેહેરાએ મીડિયાના અહેવાલોનું ખંડન કર્યું છે જેમાં કહેવાયું હતું કે, ત્યાં મોટાપાયે લવ જિહાદની પ્રવૃત્તિઓ ચાલી રહી છે.
દરમિયાન પોલીસવડાએ એમ પણ જણાવ્યું હતું કે, વિવિધ આરોપો અંગે પોલીસ ચોકસાઇપૂર્વક નજર રાખી રહી છે. મીડિયાના એક વિભાગમાં એવું કહેવાયું હતું કે, રાજ્ય પોલીસ વડાએ અહીં લવ જિહાદની પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાને સમર્થન આપ્યું છે પરંતુ મીડિયામાં ફેલાયેલી વાતો સંપૂર્ણપણ અફવા છે તેમ પોલીસવડાએ જણાવ્યું હતું. ડીજીપીએ સ્પષ્ટતા કરી હતી કે, તેમણે એમ કહ્યું હતું કે, કેરળમાં ધર્મપરિવર્તન દ્વારા કટ્ટરવાદ ફેલાયો હોવાના આરોપો અંગે પોલીસ નજર રાખી રહી છે. તેમણે એમ પણ જણાવ્યું છે કે, સુપ્રીમ કોર્ટે આ આરોપો અંગે તપાસ કરવા આદેશ આપ્યો છે. તેથી આ બાબત સાચી છે કે, ખોટી તેની તપાસ કરવાની અમારી ફરજ છે. અત્યારસુધી અમને કેરળમાં કહેવાતા લવ જિહાદની પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની કોઇ માહિતી મળી નથી. ૧૬મી ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે એક હિન્દુ મહિલા દ્વારા મુસ્લિમ પુરૂષ સાથે લગ્ન અને ધર્મપરિવર્તન કરવાના આરોપોનો તપાસ કરવા એનઆઇએને આદેશ આપ્યો હતો ત્યારે રાષ્ટ્રીય એજન્સીએ જણાવ્યું હતું કે, આ પ્રકારના આરોપો સાચા નથી પરંતુ કેરળમાં પ્રવૃત્તિ વધી રહી છે. કેરળના હિન્દુ જૂથોએ આરોપ લગાવ્યો હતો કે, મુસ્લિમો લગ્નો દ્વારા બિનમુસ્લિમ યુવતીઓને પોતાના ધર્મમાં લઇ રહ્યા છે.