અમદાવાદ, તા.૧૪
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારતની એક્તા અખંડિતતાને આતંકી ઓછાયાથી તોડવાના કોઈ પ્રયાસો દેશની જનતા સાંખી લેશે નહીં તેવો સ્પષ્ટ સંકેત આપ્યો છે. તેમણે કહ્યું કે, ભારતીય ત્રિરંગાની આન બાન શાનને દિલોજાનથી જાળવીને સૌ દેશવાસીઓ ભારતને વિશ્વગુરુ બનાવવા સંકલ્પબદ્ધ થયા છે. હવે તેની આડે આવતા તત્વોને રૂકજાવ આખોદેશ એકી અવાજે કરી રહ્યો છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરામાં ૭૧માં સ્વાતંત્ર્ય પર્વના રાજ્ય કક્ષાના કાર્યક્રમોનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે વડોદરામાં હરણી પોલીસ મથકનું ઉદઘાટન સમા તળાવના નવીનીકરણનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ આ વેળાએ ૬૭ મીટર ઉંચો રાજ્યનો સૌથી ઉચો રાષ્ટ્રધ્વજ સ્થંભ ઉપર લગાવ્યો હતો. મુખ્યમંત્રીએ સમા તળાવના કાંઠે રાષ્ટ્રધ્વજ ઉદ્યાનના સ્થળે શહિદ સ્મૃતિ વનના ઉછેર માટે વૃક્ષારોપણ કર્યું હતું. તેમણે સમાસ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે ૫૫ કરોડના ખર્ચે અદ્યતન સ્માર્ટસિટી શહેરી બસ સેવાનું લોકાર્પણ કરવાની સાથે સ્માર્ટ વડોદરાને ઈન્ટરનેટ યુગ સાથે સાંકળતી શહેરી જનો માટેની નિઃશુલ્ક વાઈફાઈ સુવિધા શરૂ કરાવી હતી. મુખ્યમંત્રીએ વડોદરા શહેરના ૨૯ તળાવોના નવસર્જનના અભિયાન માટે વડોદરા મહાનગરપાલિકાને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, વડોદરાને સંસ્કારી, સાંસ્કૃતિક અને ઉદ્યાનસભર નગરી બનાવનારા સયાજીરાવનો આ વરસો વડોદરાની અસ્મિતા છે. મુખ્યમંત્રીએ ૬૭ મીટરની ઉંચાઈ ધરાવતા રાજયના સર્વાધિક ઉંચાઈએ લહેરાનારા રાષ્ટ્રધ્વજની નગરજનોને ભેટ આપવા માટે વડોદરા મહાનગર પાલિકાને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, આ ગગનચૂંબી ઉચાઈએ લહેરાતો રાષ્ટ્રધ્વજ નવી પેઢીને ઉન્નત રાષ્ટ્રપ્રેમની અવિરત પ્રેરણા આપશે.