નવી દિલ્હી,તા.૩૧
સંસદમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણથી બજેટ સત્રની શરૂઆત કરવામાં આવી છે. તેમણે તેમના ભાષણમાં કહ્યું કે, મારી સરકારે એક નવા ભારતનું સપનું જોયું છે. વર્ષ ૨૦૧૪માં ચૂંટણી પહેલાં દેશ અનિશ્ચિતતાઓમાંથી પસાર થઈ રહ્યો હતો પરંતુ મારી સરકારે સત્તામાં આવતા જ એક નવા ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. તેમણે ભ્રષ્ટાચાર મુક્ત ભારતનો નિર્ણય કર્યો છે. જ્યાં દરેક ગામમાં ગેસ, દરેકને શિક્ષણ, દરેકને રોજગાર સાથે સરકારે તેમના લક્ષ્યાંકો અને યોજનાઓ નક્કી કરી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે, સરકારે પ્રક્રિયાઓને સરળ બનાવવા માચે ૫૯ મિનિટમાં એક કરોડ રૂપિયા સુધીની લોન આપવાની વ્યવસ્થા કરી છે. ડિજિટલ ઈન્ડિયા પર ઝડપથી કામ થઈ રહ્યું છે. ૪૦ હજાર ગ્રામ પંચાયતોમાં વાઈ-ફાઈ લાગી ચૂક્યું છે. ૧ લાખ ૧૬ હજાર ગામડાઓમાં ઓપ્ટિકલ ફાઈબર પહોંચી ચૂક્યું છે. ભીમ એપ દ્વારા મોટી સંખ્યામાં ડિજિટલથી લેણ-દેણ શરૂ થઈ ગઈ છે. છેલ્લા સાડાચાર વર્ષમાં સરકારે ભ્રષ્ટાચાર સામે લડાઈ લડી છે. સરકારે વિદેશમાં જમા બ્લેકમની લાવવા માટે ઘણાં દેશ સાથે સમજૂતી કરી છે. નોટબંધીએ બ્લેકમની સાથે જોડાયેલા લોકોની કમરતોડી નાખી છે. ૩ લાખથી વધારે નકલી કંપનીઓને બંધ કરવામાં આવી છે. ૮ કરોડ નકલી લાભાર્થીઓના નામ હટાવવામાં આવ્યા છે. જીએસટીથી એક દેશ, એક ટેક્સની વ્યાખ્યા સફળ થઈ છે. સરકારે વેપારી જગતથી મળી રહેલા સૂચનોને સામેલ કરીને જીએસટીમાં સુધારો કર્યો છે. કોલસા ખાણોની ફાળવણીમાં પારદર્શકતા લાવવામાં આવી છે. રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે, સરકાર ગરીબ મહિલાઓ અને બાળકોમાં કુપોષણના પડકારને ખતમ કરવા પ્રતિબદ્ધ છે. તે માટે મિશન ઈન્દ્ર ધનુષ અંર્તગત પૂર્ણ રસીકરણ કરવામાં આવી રહ્યું છે. નવી-નવી મેડિકલ કોલેજો ખોલવામાં આવી રહી છે અને સમગ્ર દેશમાં એમ્સ બનાવવામાં આવી રહી છે. ગામડાઓમાં ડોક્ટરની અછતને દૂર કરવા મેડિકલના અભ્યાસમાં ૩૧ હજાર નવી સીટો વધારવામાં આવી છે. ગયા વર્ષે દેશના ૫૦ કરોડ ગરીબો માટે ગંભીર બીમારીની સ્થિતિમાં દરેક પરિવારને વર્ષે રૂ. ૫ લાખ સુધીનો બીમારી ખર્ચ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ચાર મહિનામાં ૧૦ લાખથી વધુ ગરીબોને આ યોજનાનો લાભ મળ્યો છે. તે ઉપરાંત ૪ હજારથી વધારે જન ઔષધિ કેન્દ્ર પણ ખોલવામાં આવ્યા છે. બેઘર લોકોની સમસ્યાને દૂર કરવા સરકારે પીએમ આવાસ યોજના અંર્તગત સાડાચાર વર્ષમાં એક કરોડ ૩૦ લાખથી વધારે ઘરનું નિર્માણ કર્યું છે. જ્યારે ૨૦૧૪ પહેલાં ૫ વર્ષમાં કુલ ૫ લાખ ઘરનું જ નિર્માણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે, સામાન્ય નાગરિકોની પીડા સમજનાર મારી સરકારે મૂળભૂત સુવિધાઓને પ્રાથમિકતા આપી છે. તે ઉપરાંત યોજનાઓને નવું સ્વરૂપ આપીને અભૂતપૂર્વ કામ કર્યું છે. તેમણે કહ્યું કે, શૌચાલયની સુવિધા ન હોવાથી આપણી દીકરીઓને ગરીમાહીન જીવન જીવવું પડતું હતું પરંતુ હવે ૯ કરોડ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. અમે આ વર્ષે ૨ ઓક્ટોબર સુધી દેશને સંપૂર્ણ સ્વચ્છ બનાવવાનો સંકલ્પ કર્યો છે. ઉજ્જવલા યોજના અંર્તગત૬ કરોડથી વધારે ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે. દશકાઓના પ્રયત્ન પછી ૨૦૧૪ સુધીમાં દેશમાં ૧૨ કરોડ કનેક્શન હતા પરંતુ સાચા ચાર વર્ષમાં મારી સરકારે કુલ ૧૩ કરોડ પરિવારને ગેસ કનેક્શન આપ્યા છે. રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે, અટલજી દ્વારા સ્થાપિત સામાજિક ન્યાય અને અધિકારિત મંત્રાલય દિવ્યાંગજનો માટે ખૂબ કામ કરી રહી છે. ૧૨ લાખ દિવ્યાંગજનોને રૂ. ૭૦૦ કરોડના ઉપકરણ આપવામાં આવ્યા છે. સરકારે દિવ્યાંગજનો માટે સરકારી સ્ટેશનોને પણ સુગમ બનાવ્યા છે. સરકારે દિવ્યાંગો માટે એક જ સાંકેતિક ભાષાનો ઉપયોગ શરૂ કર્યો છે. કેન્દ્ર સરકારની વેબસાઈટને પણ દિવ્યાંગો માટે બદલવામાં આવી છે.
આજે મોદી સરકાર રજૂ કરશે વચગાળાનું બજેટ
નવી દિલ્હી,તા.૩૧
આ વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણી પહેલા આ અંતિમ સંસદીય સત્ર છે. જેની શરૂઆત આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનાં અભિભાષણ સાથે થઈ હતી. સંસદના સેન્ટ્રલ હોલમાં બંને સદનોના સંયુક્ત સદનને રાષ્ટ્રપતિએ સંબોધિત કર્યું હતું.
આવતી કાલે રજૂ થનારું બજેટ મોદી સરકારનું વર્તમાન કાર્યકાળનું અંતિમ બજેટ હશે. સૂત્રોનો દાવો છે કે, લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર આ બજેટમાં ખેડૂતો અને મધ્યમ વર્ગને લાભ થાય તેવી અનેક જાહેરાતો કરી શકે છે. વચગાળાના બજેટ પહેલાં આર્થિક સર્વેક્ષણ રજૂ થાય તેવું લાગતું નથી. બીજી તરફ મોદી સરકાર ચૂંટણીલક્ષી જાહેરાતો કરી શકે છે. જ્યારે વિપક્ષ રફાલ વિમાન ડીલ, ખેડૂત સાથે જોડાયેલા મુદ્દા સહિત અનેક મહત્વપૂર્ણ વિષયો પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે.
બજેટમાં આવકવેરા મર્યાદામાં વધારો, ગરીબો માટે મિનિમમ ઈન્કમ સ્કીમ અને ખેડૂતો માટે વિશેષ સહાયતા પેકેજ (કૃષિ પેકેજ) સહિતની અનેક લોભામણી જાહેરાતો થવાની શક્યતા છે. જોકે આગામી બજેટ સત્ર દરમિયાન નવી સરકાર સત્તા સંભાળે ત્યાં સુધીના ચાર મહિનાના ખર્ચ માટે લેખાનુદાનને જ મંજૂરી આપવામાં આવશે.
લોકસભા ચૂંટણી બાદ મે મહિનામાં ચૂંટાઈને આવનારી નવી સરકાર જુલાઈમાં પૂર્ણ બજેટ રજૂ કરશે અને તે પહેલાં આર્થિક સર્વેક્ષણ સંસદમાં રજૂ કરવામાં આવશે. નાણાં મંત્રાલયની જવાબદારી સંભાળી રહેલા વચગાળાના નાણાં પ્રધાન પીયૂષ ગોયલ આવતી કાલે બજેટ રજૂ કરશે. બજેટ સત્ર ૩૧મી જાન્યુઆરીથી લઇ ૧૩મી ફેબ્રુઆરી સુધી ચાલશે.
સૌનો સાથ સૌનો વિકાસ માટે અમે કટિબદ્ધ : વડાપ્રધાન
નવી દિલ્હી,તા.૩૧
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટ સત્ર પહેલાં સંસદના પરિસરમાં કહ્યું કે, ગૃહની કાર્યવાહી દેશનો દરેક નાગરિક જોતો હોય છે અને તે દરેક સુધી ગૃહની વાત પહોંચે છે. તેમણે કહ્યું કે, ચર્ચાથી ભાગનાર લોકો પ્રત્યે સમાજમાં સ્વાભાવિક નારાજગી પેદા થાય છે. મને આશા છે કે, બજેટ સત્રમાં સંસદના આ સત્રનો સદઉપયોગ થાય અને તાર્કિક ચર્ચા કરી શકાય. તેનાથી ગૃહ અને સરકાર બંનેને લાભ મળશે. પીએમ મોદીએ કહ્યું, સરકાર દરેક વિષય પર ચર્ચા કરવા માટે ઉત્સુક છે અને અમે સબકા સાથ સબકા વિકાસ માટે પ્રતિબદ્ધ છીએ.
કોંગ્રેસે વ્હિપ જાહેર કર્યો
કોંગ્રેસે તેમની પાર્ટીના સાંસદોને શુક્રવારે અને શનિવાર માટે ૩ લાઈનનો વ્હિપ જાહેર કર્યો છે. માનવામાં આવે છે કે, કોંગ્રેસ બજેટ સત્રમાં ફરી રાફેલ મુદ્દો ઉઠાવશે. જ્યારે બીજી બાજુ સરકાર બજેટ સત્રમાં ત્રિપલ તલાક અને નાગરિકતા સંશોધન જેવા બિલને તેમના છેલ્લા સત્રમાં પસાર કરાવવાનો પ્રયત્ન કરશે.
વચગાળાનું બજેટ લોકપ્રિય રજૂ કરવાના
ચક્કરમાં દેશને આર્થિક ફટકો પડી શકે
નવી દિલ્હી,તા.૩૧
ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર શુક્રવારે વચગાળાનું બજેટ રજૂ કરવા જઈ રહી છે. નાણાં મંત્રી પીયુષ ગોયલ દ્વારા ઈન્ટરિમ બજેટ રજૂ કરવામાં આવશે. એનડીએના પાંચ વર્ષના કાર્યકાળનું આ અંતિમ બજેટ છે ત્યારે રેટિંગ એજન્સી ફિચે એક ગંભીર બાબત પર ધ્યાન દોર્યું છે. ફિચના મતે સરકાર દ્વારા વચગાળાનું બજેટ લોકપ્રિય જાહેર કરવાના ચક્કરમાં દેશને ગંભીર આર્થિક ફટકો પડી શકે છે.
આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને સરકાર ગ્રામીણ વસતિ તેમજ નાના રોજગારોને રીઝવવા પ્રયાસ કરી શકે છે. સરકાર બજેટમાં વોટ માટે નાણાં કોથળી ઢીલી મૂકવાની જાહેરાત કરી શકે છે. જો આમ કરાશે તો તેના દુરોગામી પરિણામ ગંભીર નિવડી શકે છે. તાજેતરમાં બહાર આવેલા સર્વેમાં ભાજપનો વિજય અસ્પષ્ટ જણાઈ રહ્યો છે જેને પગલે સરકાર ફફડી ગઈ હોવાનું જણાય છે.
કેન્દ્રીય નાણાં મંત્રી ગોયલ વચગાળાના બજેટમાં નાણાકીય સ્થિરતા જાળવવા માટેના પગલાં જાહેર કરી શકે છે. જો કે વધુ મત આકર્ષવા માટે જો બજેટમાં ઊંચા ખર્ચની જોગવાઈ કરવામાં આવશે તો દેશની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ શકે છે અને દેશને ફટકો પડશે તેમ ફિચે એક રિપોર્ટમાં જણાવ્યું હતું.
ભાજપનો તાજેતરમાં પાંચ રાજ્યોની વિધાનસભામાં ચૂંટણીમાં દેખાવ નબળો રહ્યો હતો. આ ઉપરાંત રોજગારી સર્જન સહિતના વાયદાઓમાં પણ સરકાર નિષ્ફળ પુરવાર થઈ હોવાનો પ્રજાને અહેસાસ થઈ રહ્યો છે. સરકાર પાસે ખર્ચ માટેના નાણાની તંગી છે તેવામાં વચગાળાનું બજેટ વધુ લોકપ્રિય આપવા જતા દેશ પર આર્થિક ભારણ વધી શકે છે તેમ ફિચે જણાવ્યું હતું.
ફિચના મતે ચૂંટણી પૂર્વે વધુ પડતા ખર્ચને લીધે સરકાર સતત બીજા વર્ષે નાણાકીય ખાધનો લક્ષ્યાંક ચૂકી શકે છે. આ ઉપરાંત સરકાર માટે બાદમાં નાણાકીય ખાધ અને ઋણબોજ ઘટાડવા એ લોઢાના ચણા ચાવવા સમાન બની રહેશે. ભારતના સોવરિન રેટિંગ માટે લાંબા ગાળાનો ટ્રેન્ડ મહત્વનો ગણાશે તેમ ફિચે વધુમાં જણાવ્યું હતું.