(એજન્સી) નવી દિલ્હી,તા.૩૧
કાયદા પંચે એક સલાહ સૂચન પત્ર બાબત અવલોકન કરતા જણાવ્યુ છે કે દેશ અથવા એના કોઈ પણ પાસાની આલોચના કરવાની ઘટનાને રાષ્ટ્રદ્રોહ ગણી નહિ શકાય અને આ આક્ષેપોનો ત્યારે જ અમલ કરી શકાય જ્યારે સરકારને હિંસા દ્વારા અથવા અન્ય ગેરકાયદેસર રીતે ઉથલાવવાનો ઉદ્દેશ્ય હોય.
દેશના કાયદા પંચે ઠરાવ્યું છે કે, સરકારની નીતિઓની ટીકા કરવી કે તેનો વિરોધ કરવો તે દેશદ્રોહ નથી. વાણી સ્વાતંત્ર્ય બંધારણીય અધિકાર છે. જે વ્યકિતના વિચારો સરકારની નીતિ સાથે મેચ ન થતાં હોય તેની સામે રાષ્ટ્રદ્રોહનો આરોપ મુકી શકાય જ નહીં.
દેશની જનતાને પુરી આઝાદી છે કે, તેઓ જે ફાવે તે પ્રકારે પોતાના દેશ પ્રત્યે પોતાના પ્રેમની અભિવ્યકિત કરી શકે છે. કાયદા પંચે કહ્યું છે કે, લોકતંત્રમાં ‘એક જ પુસ્તક થકી ગાવું’ તે દેશભકિતનું બેન્ચમાર્ક નથી. સરકારની નીતિનો વિરોધ કરનાર સામે રાષ્ટ્રદ્રોહનો આરોપ મુકાઈ શકે જ નહીં. ઈન્ડીયન પીનલ કોડ હેઠળ આવતા રાષ્ટ્રદ્રોહ કાયદા (૧૨૪-એ) પર લાવવામાં આવેલા સુચનો મહત્વના છે. આ સુચન યાદીમાં અનેક મુદ્દાઓ સમાવવામાં આવ્ય છે. કાયદા પંચે કહ્યું કે, ૧૨૪-એ બાબત થયેલા સુચનો વિશે વિસ્તૃત ચર્ચા કરવાની જર છે. તેમાં સુધારા કરવાનો સમય પાકી ગયો છે. નિવૃત્ત જસ્ટીસ બી.એસ.ચૌહાણના નેતૃત્વ હેઠળના કાયદા પંચે વધુમાં એમ કહ્યું છે કે, ગમે તેની સામે આ કાયદો વાપરી શકાય નહીં.
આવો કાયદો ફકત એવા મામલામાં જ લાગુ કરી શકાય જેમાં કાયદો-વ્યવસ્થાને ભાંગવાનો ખતરો હોય હિંસા અથવા અન્ય ગેરકાયદે રસ્તાઓ થકી સરકારને હટાવવાનો પ્રયાસ હોય ત્યારે જ રાષ્ટ્રદ્રોહનો કાયદો લાગુ થાય. દેશના બધા જ વર્ગના બુદ્ધિજીવીઓએ રાષ્ટ્રદ્રોહના કાયદાના ઉપયોગ અંગે ગંભીરતાથી વિચાર કરવો જોઈએ.
જો લોકોને સકારાત્મક આલોચના કે ટીકા કરવાનો અધિકાર ન મળે તો પછી આઝાદી પહેલાના અને ત્યાર પછીના સમયમાં શું ફેર રહી જશે ? તેવો પ્રશ્ન કાયદા પંચે કર્યો છે.