(એજન્સન્ડિ મોસ્કો, તા.૬
રશિયાની રાજધાની મોસ્કોમાં એરપોર્ટ પર મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ છે. ઈમરજન્સી લેન્ડિંગ સમયે સુખોઈ સુપરજેટ વિમાનમાં આગ લાગતા ૪૧ લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા. મૃતકોમાં બે બાળકો પણ સામેલ છે. કેટલાક પ્રવાસી ઈમરજન્સી સ્લાઈડ્સના માધ્યમથી બહાર નીકળ્યા હતા.વિમાનના પાયલોટ ડેનિશ યેવદોકીમોવે જણાવ્યુંં હતું કે, વિજળીના કારણે આ ક્રેશ લેન્ડિંગ થયું હતું.
જણાવવામાં આવી રહ્યું છે કે, દુર્ઘટનાના શિકાર થયેલા સુખોઈ પ્રવાસી વિમાને મોસ્કો એરપોર્ટ પરથી ઉત્તરી રશિયાના મરમાંસ્ક શહેર માટે ઉડાણ ભરી હતી. તેમાં ૭૩ પ્રવાસી અને પ ક્રૂ મેમ્બર સવાર હતા. ટેક ઓફ સમયે જ વિમાનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. તેની પર વિમાનની ચાલક ટીમે એટીસીને સૂચના આપી અને વિમાનની ઈમરજન્સી લેન્ડિંગ કરાવી. લેન્ડિંગ સમયે સંપૂર્ણ વિમાન આગના ગોળામાં બદલાઈ ગયું. દુર્ઘટના એટલી ભયાનક હતી કે વિમાનમાંથી નીકળતી આગની લપટો અને આસમાનમાં ધુમાડાને દૂર સુધી જોઈ શકાતો હતો.
દુર્ઘટનાની તપાસ કરી રહેલી ટીમના પ્રવક્તા સ્વેતલાના પેટ્રેન્કોએ જણાવ્યું કે, વિમાનમાં હાજર ૭૮ લોકોમાંથી માત્ર ૩૭ લોકો જીવિત છે. જ્યારે ૪૧ લોકોનાં મોત નિપજ્યાં છે. ત્યાં ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોમાં કેટલાક લોકોની સ્થિતિ ગંભીર છે. સમાચાર મુજબ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં પ્રવાસીઓને સળગતા એરોફ્લોટ વિમાનમાંથી બચીને નીકળવા માટે ઈમરજન્સી ગેટથી બહાર નીકળવાનો પ્રયાસ કરતા જોઈ શકાય છે. એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું કે, આ વિમાન માત્ર બે વર્ષ જૂનું હતું. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી એક અન્ય વીડિયોમાં જોઈ શકાય છે કે, વિમાન લેન્ડ થઈ રહ્યું છે અને તેમાંથી ધુમાડો નીકળી રહ્યો છે. અન્ય તસવીરોમાં વિમાનમાંથી પ્રવાસીઓને ઉતરતા પણ જોઈ શકાય છે. રશિયાના આરોગ્ય મંત્રાલયના પ્રમુખ વેરોનિકા સ્કવોર્તસોવાએ એક નિવેદનમાં જણાવ્યું કે, ૬ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જેમાંથી ત્રણની સ્થિતિ ગંભીર છે.
૪૧ લોકોના ભોગ લેનારા ક્રેશ-લેન્ડિંગ બાદ પણ રશિયા કહે છે, તે સુખોઈ જેટનું ઉડ્ડયન બંધ નહીં કરે
સુખોઈ સુપરજેટ ૧૦૦ એરક્રાફ્ટમાંથી એક વિમાન ઉતરાણ કરતી વખતે ક્રેશ થઈ ગયું અને આગ જ્વાળાઓમાં લપેટાઈ ગયું, જેમાં ૪૧ લોકોએ જીવ ગુમાવ્યા હતા, તેમ છતાં રશિયાએ પોતે વિકસાવેલા આ વિમાનના ઉડ્ડયનને બંધ કરવાનું કોઈ કારણ દેખાતું નથી, તેમ દેશના વાહન વ્યવહારના મંત્રીએ સોમવારે જણાવ્યું હતું. સંશોધકોએ એરોફ્લોટને કે જે મોસ્કોથી ઉત્તરિય રશિયન શહેર મુરમાન્સ્ક જઈ રહ્યું હતું. ઈમરજન્સી લેન્ડિંગ કરવાની શા માટે ફરજ પાડી અને તે લેન્ડિંગ આટલું ખરાબ કેવી રીતે થયુંની તપાસ શરૂ કરી દીધી છે. ટેકનિકલ ક્ષતિ, માનવમુક્ત અને ખરાબ હવામાન સહિતના તમામ પાસાઓ પર ધ્યાન અપાઈ રહ્યું છે. એક પત્રકાર પરિષદમાં પત્રકારોએ પ્રશ્ન કર્યો હતો કે, જ્યાં સુધી લેન્ડિંગમાં તપાસ પૂરી ન થાય ત્યાં સુધી શું સુખોઈ વિમાનોનું લેન્ડિંગ બંધ રહેશે. તેના જવાબમાં રશિયાના વાહન વ્યવહાર મંત્રી યેવગેની દિત્રીખે જણાવ્યું, સુખોઈનું લેન્ડિંગ બંધ કરવાનું કોઈ કારણ નથી વિમાનમાં ૭૩ યાત્રીઓ અને પાંચ ક્રુ સભ્યો સવાર હતા.