(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૮
ભાજપ ઓબીસી મોરચાના વડોદરા તાલુકાના મહામંત્રી સંજય પંચાલે રાજ્યપાલને સંબોધી લખેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, પોતાને વ્યકિતગત થયેલા અન્યાય સામે છેલ્લાં કેટલાક વખતથી કાયદાકીય લડત આપવા છતા ન્યાય મળ્યો ન હોવાથી ન્યાય અપાવવા અથવા ઇગ્લીશ દારૂનો ધંધો કરવાનું લાયસન્સ આપો તેવી માંગણી કરી છે. પોતાને અત્યાર સુધી વિવિધ લોકો દ્વારા થયેલા અન્યાય અંગે અગિયાર જેટલા મુદ્દાઓ ટાંકી રાજપાલને લખેલા આવેદનપત્રમાં સંજય પંચાલે ચોંકાવનારી વિગતો આપી છે. તેમણે ભાજપનાં નેતાઓ સામે પણ આક્ષેપો કર્યા છે. વારંવાર તેમના પરિવારજનો ઉપર થયેલા હુમલા અંગે તેમણે છાણી પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલી હોવા છતાં પોલીસ આરોપીઓને પકડતી નથી અને છાવરી રહી છે. પોતાના જાનનું જોખમ હોવાની પણ દહેશત રજૂ કરી છે. અધધ અન્યાય સામે છેલ્લા ત્રણેક વર્ષથી સતત લડત આપતા ભાજપના તાલુકા મહામંત્રી (બક્ષીપંચ) એ છેવટે ભાજપના જ નેતાઓ સામે આક્ષેપો કરી રાજ્યપાલને ન્યાય અપાવવા ગુહાર લગાવી લખ્યું છે કે, જો તમે મને ન્યાય ન અપાવી શકો તો પછી ઇગ્લીશ દારૂ વેચવાનો પરવાનો અપાવો તેવી માંગણી સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.