અમદાવાદ, તા.૧૮
ગુજરાત આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટે પોતાની ફેસબુક પોસ્ટ પર લખ્યું છે કે દરરોજ સમાચારમાં મુસ્લિમ યુવાઓને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. સમગ્ર પ્રશાસન પણ તેમને સમાજમાંથી કાઢી નાખવાની કોશિશ કરી રહ્યું છે. તેમણે તેમ પણ લખ્યું કે, મુસલમાનોએ ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિય ભાગ લીધો અને પોતાના જીવનનો ત્યાગ કર્યો. બહુમતી ધરાવતા સમુદાયના પ્રત્યેક લોકો વ્યાપક પ્રચાર મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જે યોગ્ય નથી. પાછલા ત્રણ વર્ષોમાં આ પ્રવૃત્તિમાં વધારો થયો છે. તેમણે દાવો કર્યો કે, કેટલાક દળો દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે જેથી મુસ્લિમ સમુદાયને નિશાન બનાવી શકાય.
સૌથી પહેલા, મુસલમાનોનું ધ્યાન પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, વ્યાપમ કૌભાંડ જેવા વગેરે મહત્વપૂર્ણ મુદ્દાઓથી દૂર કરવામાં આવે અને ટ્રિપલ તલાક, હલાલા, યુનિફોર્મ સિવિલ કોડ, મદ્રાસમાં રાષ્ટ્રીય ગાનનો પાઠ, ગાયની સુરક્ષા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર તેમને ગૂંચવી રાખવા. ગાય સંરક્ષણના બહાને મુસ્લિમ યુવાઓની હત્યા કરવી. આ દરેક મુદ્દાઓનો તેમાં સમાવેશ થાય છે, જેના દ્વારા મુસ્લિમ યુવાઓને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. સંજીવ ભટ્ટે મુસ્લિમ યુવાઓને પોતાની કારકિર્દી પર ધ્યાન આપવાની સલાહ આપી છે. તેમણે યુવાઓને કહ્યું કે, પોતાના લક્ષ્ય પરથી ભટકી જવું જોઈએ નહીં અને નજીવા તર્કોમાં પોતાનો સમય વેડફવો જોઈએ નહીં. તમને ભણાવવામાં આવતી દરેક બાબતો પર પોતાનું મંતવ્ય જાહેર ના કરો. મુસ્લિમ યુવાઓ બિનજરૂરી ચર્ચાઓમાં રસ ના લે અને ભારતીય મૂલ્યોનું રક્ષણ કરે.