(એજન્સી) અલવર, તા. ૧૭
સરકારને અત્યારસુધી ૭૨ ફ્રી એપ બનાવીને આપી ચૂકેલો ઇમરાન હાલ ઇન્ટરનેટ કનેક્શનને કારણે પરેશાન છે. દૂરસંચાર મંત્રી રવિશંકર પ્રસાદે ઇમરાનને આજીવન ઇન્ટરનેટ કનેક્શન ફ્રી આપવાની જાહેરાત કરી હતી પરંતુ છેલ્લા છ મહિનાથી તેનું ઇન્ટરનેટ કનેક્શન ઠપ્પ પડ્યું છે. ઇમરાને આ અંગે ઘણીવાર ફરિયાદ કરી હોવા છતાં અધિકારીઓ તેના પર ધ્યાન આપી રહ્યા નથી. નવેમ્બર ૨૦૧૫માં પીએમ મોદીએ લંડનના વેમ્બલી સ્ટેડિયમમાં આઇટી એક્સપર્ટ ઇમરાનખાનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, અમારા ઇમરાનમાં આખું હિંદુસ્તાન વસેલું છે. ઇમરાને મોદી સરકારને જીએસટી ટ્રેનિંગ એપ બનાવી આપી છે આ ઉપરાંત સરકારને ટુરિઝમ એપ અને ઇઝી યોગા એપ પણ બનાવીને આપી છે. હાલ ઇમરાન ખાનગી કંપનીનું ઇન્ટરનેટ વાપરી રહ્યો છે પરંતુ નેટની સમસ્યાની અવળી અસર તેના એપ બનાવવાના કામ પર પડી રહી છે. વાસ્તવમાં શરૂઆતમાં બીએસએનએલની લેન્ડલાઇન સેવા નહીં હોવાને કારણે વાઇમેક્સ દ્વારા તેને જોડવામાં આવ્યો હતો. જો કે, આ પહેલા પણ મોબાઇલ ટાવર ઘણા અંતરે હોવાથી ઘણીવાર સમસ્યા આવી હતી પરંતુ છેલ્લા છ મહિનાથી ઇન્ટરનેટ કનેક્શન સંપૂર્ણ રીતે બંધ પડ્યું છે.