(સંવાદદાતા દ્વારા) વાપી, તા. ૪
વલસાડ જિલ્લામાં આવેલ દગડમાળ (દાદરીનું મેદાનમાં) પારડી તાલુકામાં ૬૫મોં ખેડ સત્યાગ્રહની યાદમાં કિસાન મુક્તિ દિવસ મનાવવામાં આવ્યો હતો. જેમાં હજારોની સંખ્યામાં આદિવાસી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
વલસાડ આહવા ડાંગ જિલ્લામાં તથા દક્ષિણ ગુજરાત ના આદિવાસી વિસ્તારોમાં ગરીબ , અભણ, શોષિત સદાકાળ પીડિત આદિવાસી સમાજમાં જાગૃતિ લાવવા માટે આઝાદી બાદ દક્ષિણ ગુજરાતમાં આ વિસ્તારની પ્રજા કારમી, ગરીબાઈ, બેકારી, નિરક્ષરતા જેવી વિકટ સમસ્યાઓથી ઘેરાયેલી હતી. તે સમયે ઈશ્વરભાઈ છોટુભાઈ દેસાઈ અને સ્વર્ગીય ઉત્તમભાઈ હરજીભાઈ પટેલની આગેવાની હેઠળ પારડી ખેડ સત્યાગ્રહની શરૂઆત ૧લી સેપ્ટમ્બર ૧૯૫૩ના દીને થઇ હતી. જેમાં હજારો દલિત આદિવાસી સમાજના કિસાન ભાઈઓ-બેનોએ ભાગ લીધો હતો. ત્યારે બીજી તરફ મુઠ્ઠી ભર જમીનદારોના શોષણ, અત્યાચાર જુલ્મોથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ હતી. તેની સામે અહિંસક લોક જુવાળ ફાટી નીકળતા ૧૪ હજાર એકર ઝમીન જમીનદારો પાસેથી મેળવી તાત્કાલીક વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીના હસ્તે સ્વ. ઉત્તમભાઈ હરજીભાઈ પટેલના સાનિધ્યમાં ખેડૂતોને તે સમયના ભૂમિહિનને તામ્રપત્રથી ૨ એકર જમીન અર્પણ કરવામાં આવી હતી. આ સત્યાગ્રહની યાદમાં અહીંયા રહેતા આદિવાસી સમાજના દરેક નાગરિકો ૧લી સેપ્ટમ્બર દિનને (કિસાન મુક્તિ દિન) તરીકે ઉત્સવ ઉજવાય છે.
આ વેળા ખેડ સત્યાગ્રહની સભામાં ગુજરાત વિરોધપક્ષના નેતા પરેશ ધનાણી, માજી કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી , એઆઈસીસી સભ્ય ગૌરવ પંડ્યા, પ્રદેશ મંત્રી મિલીન દેસાઈ, વલસાડ જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા ધર્મેશ પટેલ તથા પ્રદેશ કોંગ્રેસના અગ્રણીઓએ ઉપસ્થિત રહી રેલીને સંબોધન કર્યું હતું. જેમાં કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તો ગુજરાત રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ખેડૂતોના થતાં શોષણ સામે અવાજ બુલંદ કર્યો હતો.
આ ખેડ સત્યાગ્રહ સભા યોજનારા પ્રમુખ આગેવાન કપરાડા વિધાનસભાના સિનીયર કોંગ્રેસ એમએલએ જીતુ ચૌધરી છે.