
દેશમાં કહેવાતા ગોરક્ષકો સહિતના અનેક તત્વોએ જાણે કે કાયદો અને વ્યવસ્થા જેવું કંઈ છે જ નહીં તેવી સ્થિતિનું નિર્માણ કરી નિર્દોષો સામે જુલમનું હથિયાર ઉગામી તેમની નિર્મમ હત્યાઓનો જે ક્રૂર સિલસિલો શરૂ કર્યો છે તેનાથી સમગ્ર માનવતા કંપી ઊઠી છે. જયારે જેણે ખરેખર કંઈ કરવાનું છે તે લોકો માત્ર વાતો કરી કોરા અને ઠાલા આશ્વાસનો આપી રહ્યા છે ત્યારે જાતિ-ધર્મ કે કોમને ભૂલી માનવતાની મહેક પ્રસરાવનારા લોકો એક જૂથ થયા છે અને તેમણે આવા સમાજ વિરોધી તત્વોને જાકારો આપવા લોકશાહી ઢબે લડત શરૂ કરી છે. એ મુહિમ ફાસીવાદનો વિરોધ કે જાતિવાદનો વિરોધ કે પછી ‘નોટ ઈન માય નેઈમ’ હોય કે પછી મહિલા પરના અત્યાચાર હોય પણ આ બધામાં જ નિર્દોષો હોમાઈ રહ્યા તેનું દુઃખ વ્યકત કરાઈ રહ્યું છે આ મામલે માત્ર વાતો કરનારાઓની આંખ ઊઘડે અને તેમને ખરેખર સત્ય દેખાય એ દિશામાં જાગૃતતા માટે દેશભરમાં વેગવંતી બની રહી છે. અમદાવાદ ખાતે અનેક લોકોએ હાથમાં બેનર લઈ આ સમાજ વિરોધી પરિબળોને જાકારો આપવાનો સૂર વહેતો કર્યો હતો.