(એજન્સી) દોહા, તા.૧ર
કતારે કહ્યું છે કે સઉદી અરેબિયાની આગેવાની હેઠળના દેશોનો ઈરાદો દોહા પર ગેરકાયદેસર પ્રતિબંધ લાદીને પર્શિયન ગલ્ફનેશન પર માલિકી હક્ક જમાવવા માગે છે. કતારના વિદેશમંત્રી શેખ મોહમ્મદ સોમવારે જીનિવામાં યુનોની માનવ અધિકાર સમિતિમાં પ્રવચન દરમિયાન આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે પ્રતિબંધો લાદવાનો નિર્ણય આંતરરાષ્ટ્રીય કાનૂનોના ભંગ સમાન હતો. જૂન-પના રોજ સઉદી અરેબિયા બહેરીન સહિત ઈજિપ્ત, યુએઈએ કતાર સાથે સંબંધો તોડી નાખવાની જાહેરાત કરી હતી. તેમણે કતાર પર ત્રાસવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂક્યો હતો. તેમજ મીડલ ઈસ્ટને અસ્થિર કરવાનો પ્રયાસ ગણાવ્યો હતો. જેને કતારે ખોટા આરોપો અને ધારણા ગણાવી હતી. સઉદી અરેબિયાએ કતારની આસપાસના દેશો પર દબાણ લાવી કતારમાં ખોરાકનો પુરવઠો અટકાવ્યો હતો. ત્યારબાદ જૂનમાં આરબ દેશોએ કતારને સમસ્યા ઉકેલવા ૧૩ મુદ્દાનું અલ્ટીમેટમ આપી તેને સ્વીકારવા જણાવ્યું હતું. જો તે સ્વીકારે તો પ્રતિબંધો ઉઠાવી લેવાશે તેમ જણાવ્યું હતું. આ ૧૩ મુદ્દામાં અલ-ઝઝીરા ચેનલને બંધ કરી દેવાની માગણી હતી. ઈરાન સાથે સહકાર ઓછો કરવો, તુર્કીનો કતારમાં સૈન્ય અડ્ડો બંધ કરવો તેમજ નુકસાન પેટે વળતર માગ્યું હતું.
કતારે ૧૩ મુદ્દાની આરબ દેશોની માગણી ફગાવી દીધી હતી. જે અવાસ્તવિક ગેરવ્યાજબી અને અસ્વીકાર્ય હોવાનું જણાવ્યું હતું. કતારના રાજદૂતે કહ્યું કે કતાર પર પ્રતિબંધનો હેતુ વાસ્તવમાં ત્રાસવાદનો મુદ્દો ન હતો. અલ થાનીએ કહ્યું કે કતાર પર પ્રતિબંધનો નિર્ણય પૂર્વયોજીત હતો.