(એજન્સી) મગહર, તા. ૨૮
સર્જિકલ સ્ટ્રાઇક પર ફરી એકવાર રાજકારણ શરૂ થઈ ગયો છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઇકના મુદ્દે જુબાની જંગ શરૂ થઈ ગઈ છે. ભાજપ તેને પોતાની સિદ્ધિ ગણાવી રહ્યું છે તો કોંગ્રેસ ભાજપ પર સેનાના નામે રાજકારણ કરવાનો આક્ષેપ લગાવી રહી છે. ગુરૂવારે કોંગ્રેસ પાર્ટીના નેતા રણદીપ સુરજેવાલાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સરકાર સેનાના બલિદાનને વોટમાં બદલવાની કોશિશ ના કરે. સેનાનું શૌર્ય ગર્વ કરવાનો વિષય છે, પણ તેના માધ્યમથી રાજકારણ ન કરવું જોઇએ. યુપીએના શાસન દરમિયાન પણ સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી પણ એમા એના ગુણગાના ગાયા નહોતા.
સુરજેવાલાનું આ નિવેદન, જમ્મુ-કાશ્મીરમાં ૨૦૧૬મા કરાયેલા સર્જિકલ સ્ટ્રાઇકનો વીડિયો સામે આવ્યા બાદનું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ ભારતીય સેનાએ ર્ઁદ્ભમાં કહેર વરસાવ્યો હતો. કોંગ્રેસી નેતાએ આ વીડિયોને લઈ આજે એક પ્રેસ કોન્ફેરેન્સ કરી કહ્યું હતું કે, છદ્મ રાષ્ટ્રવાદીઓએ દેશની સેનાનું અપમાન કર્યું છે. સેનાના શૌર્યનો રાજનૈતિક લાભ લેવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મોદી સરકાર પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ અટકાવવામાં નિષ્ફળ રહી છે. ૫૬ ઇંચની છાતી પાકને ક્યારે બતાવશો? સરકાર સેના સાથે ભેદભાવ કરે છે. તેવો ખુલાસો કરે કે સેનાની કેન્ટીન પર જીએસટી કેમ નાંખવામાં આવ્યો?
દરમિયાન સૂરજેવાલાએ કહ્યું હતું કે, દેશે ચેતવાની જરૂર છે કે, જ્યારે પણ મોદી સરકાર નિષ્ફળતા તરફ જાય છે, અમિત શાહની ભાજપ હારવાની શરૂઆત કરે છે ત્યારે તેઓ પોતાના રાજકીય લાભ ખાતર સેનાના ગૌરવનો દુરૂપયોગ કરે છે. કોંગ્રેસના નેતાએ આરોપ મુક્યો હતો કે, જ્યારે ઉત્તરપ્રદેશની ચૂંટણી દરમિયાન ભાજપે શરમજનક રીતે સર્જિકલ સ્ટ્રાઇકનો ઉપયોગ કર્યો હતો. સૂરજેવાલાએ કહ્યુ કે, મોદી સરકારની નિષ્ઠુરતા અને અક્ષમતાના પરિણામે સપ્ટેમ્બર ૨૦૧૬ પછી ૧૪૬ જવાનો શહીદ થયા, પાકિસ્તાન દ્વારા ૧૬૦૦થી વધુ યુદ્ધવિરામ ઉલ્લંઘન થયા અને ૭૯ આતંકવાદી હુમલા થયા છે. મોદીની બે મોઢાની વાતો અને ભાજપના વલણને કારણે સેના સાથે સાવકા જેવો વ્યવહાર કરાય છે.
બીજી તરફ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે જણાવ્યું કે, સર્જિકલ સ્ટ્રાઇક થઇ કે નહીં તેની ચર્ચા કરવાનો કોઇ અર્થ નથી પણ એ વિચારો કે સર્જિકલ સ્ટ્રાઇકથી શું બદલાયું. બીજી તરફ જનતા દળ યુનાઇટેડના પવન વર્માએ કહ્યું કે, સર્જિકલ સ્ટ્રાઇક બાદ પણ પાકિસ્તાને યુદ્ધવિરામ ઉલ્લંઘન અને ભારત પરના હુમલા ચાલુ રાખ્યા છે. જ્યારે જેડીયુ એનડીએ સાથે નહતું ત્યારે પણ અમે જ્યારે સરકારે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી ત્યારે અમે ટેકો આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ૨૯મી સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ ભારતીય સેનાએ એલઓસી પર આવેલા પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી અને આતંકવાદીઓના લોન્ચ પેડને નાબૂદ કરીને અનેક ત્રાસવાદીઓને ઠાર કરવાનો દાવો કરાયો હતો.
‘ફર્જિકલ સ્ટ્રાઇક’ ગણાવનાર અરૂણ શૌરીએ કહ્યું, જો આ ઘટના વાજપેયી સરકારમાં બની હોત તો…

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૮
સર્જિકલ સ્ટ્રાઇકના વીડિયો લીક થયા બાદ રાજકીય હાહાકાર વચ્ચે ભાજપના બળવાખોર નેતા અરૂણ શૌરીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. સર્જિકલ સ્ટ્રાઇકના અહેવાલો બાદ પણ શૌરીએ આને ફર્જિકલ સ્ટ્રાઇક ગણાવી હતી. હવે શૌરીએ કહ્યું છે કે, જો આવી ઘટના અટલબિહારી વાજપેયી સરકાર દરમિયાન થઇ હોત અને તેમને કોઇ સ્ટ્રાઇક વિશે પૂછ્યું હોત તો તેઓ પોતાની આંખો ફેરવતા અને તેને જ સવાલ કરતા કે ‘‘શું ખરેખર સ્ટ્રાઇક થઇ છે’’ આજે સરકારની વિશ્વસનિયતા ઓછી થઇ ગઇ છે. આ માટે તે આપ્રકારના વીડિયો લોકોને પૂરા પાડી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા શૌરીનું નિવેદન ત્યારે પ્રકાશમાં આવ્યું હતું જ્યારે તેઓ દિલ્હીમાં કોંગ્રેસના નેતા સૈફુદ્દીન સોઝના પુસ્તક વિમોચન દરમિયાન બોલ્યા હતા.
સર્જિકલ સ્ટ્રાઇક પર કોંગ્રેસના નિવેદનથી ફક્ત પાકિસ્તાનના આતંકીઓ જ ખુશ થશે : ભાજપ
સપ્ટેમ્બર ૨૦૧૬ની સર્જિકલ સ્ટ્રાઇકના વીડિયોની કોંગ્રેસ દ્વારા ટીકા કરાતા ભાજપે આક્રોશ વ્યક્ત કર્યો છે અને મુખ્ય વિપક્ષને ગૌણ અને મુખ્ય ધારાની પાર્ટી નહીં હોવાનું ગણાવ્યું હતું. કોંગ્રેસે સર્જિકલ સ્ટ્રાઇકનો વીડિયો બહાર આવ્યા બાદ આરોપ લગાવ્યો હતો કે, ભાજપ મતો મેળવવા માટે તેનો બેશરમીથી દુરૂપયોગ કરી રહ્યું છે. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે પત્રકાર પરિષદ કરી જણાવ્યું કે, કોંગ્રેસ હવે મુખ્ય ધારાની પાર્ટી નથી અને ગૌણ બની છે. કોંગ્રેસ સતત સંકેત આપી રહી છે કે, તે મુખ્યધારાની પાર્ટી રહી નથી પણ હવે દેશમાં ગૌણ પાર્ટી બની છે. કોંગ્રેસ દેશનું આત્મબળ તોડી રહી છે. કોંગ્રેસના નિવેદનથી જો સૌથી વધુ ખુશ થશે તો તે પાકિસ્તાનના આતંકવાદીઓ હશે. કોંગ્રેસને જે રીતે ગુલામનબી આઝાદને લશ્કરે તૈયબાનું સર્ટિફિકેટ મળ્યું છે તે રીતે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનનું સર્ટિફિકેટ મળશે. કોંગ્રેસ ફક્ત સેનાનું મનોબળ તોડવાનું કામ કરે છે. આપણે રાજકારણથી ઉપર ઉઠીને જોવું જોઇએ. આ પહેલા સુબ્રમણ્યમ સ્વામીએ સવાલ કર્યો હતો કે, યુપીએમાં પણ સર્જિકલ સ્ટ્રાઇક થઇ હતી તો તેમણે કેમ છૂપાવી રાખ્યું.