અમદાવાદ,તા.૧૫
તાજેતરમાં યુનેસ્કો દ્વારા અમદાવાદ શહેરને હેરિટેજ સિટી જાહેર કરવામાં આવી છે ત્યારે સીદી સૈયદની જાળીને પહોંચેલા નુકસાનને કારણે અતુલ્ય ધરોહરમાંની એક નાશ પામી રહી હોવાનો ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે. જેથી ચેતીને આર્કિયોલોજિસ્ટ સર્વે ઑફ ઈન્ડિયા સીદી સૈયદની પથ્થરથી કંડારેલી જાળીને બચાવવા માટે ખાસ કામ કરશે. ડિજિટલી દસ્તાવેજોનો ઉપયોગ કરી જાળીનું સમારકામ શરૂ કરવામાં આવશે તથા આવતા અઠવાડિયે આખી મસ્જિદને સ્કેન કરવામાં આવશે.
નિષ્ણાંતોના જણાવ્યા મુજબ જાળીને વધુ નુકસાનથી બચાવવા માટે તેનું સમારકામ કરવું જરૂરી છે. પુનઃપ્રસ્થાપન કામ માટે ૩ડી સ્કેનિંગ ટેક્નિકનો ઉપયોગ કરાશે. આગ્રામાં તાજમહેલમાં, પાટણની રાણકી વાવમાં પણ ૩ડી સ્કેનિંગ ટેક્નિકનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે, સીદી સૈયદ દ્વારા બનાવવામાં આવેલી આ જાળીનું સ્થાનિક આર્કિટેક્ચર સ્ટાઈલમાં ૧૫૭૨માં નિર્માણ કરવામાં આવ્યું હતું. અમદાવાદના આર્કિટેક્ટ્સ માટે સીદી સૈયાદની જાળી કોઈ ઘરેણાથી ઓછી નથી.