(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
સીબીઆઈના ડાયરેક્ટર આલોકકુમાર વર્માને સુપ્રીમ કોર્ટ દ્વારા તીખી આલોચનાનો સામનો કરવો પડ્યો. જેનું કારણ મણિપુરમાં સૈન્ય અને પોલીસ દ્વારા કરાયેલ બનાવટી એન્કાઉન્ટરમાં એજન્સીએ હજી કોઈની પણ ધરપકડ કરી નથી. મણિપુરમાં સૈન્ય અને સુરક્ષા બળો દ્વારા ઘણા બધા બનાવટી એન્કાઉન્ટરો કરાયા હોવાના આક્ષેપો છે. સુપ્રીમ કોર્ટ ૧પર૮ કેસોની તપાસ બાબત સુનાવણી કરી રહી હતી. એમણે સીબીઆઈને જણાવ્યું કે, સેના અને આસામ રાઈફલ્સ દ્વારા કરાયેલ એન્કાઉન્ટરોમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવે. પણ એજન્સી ર૭મી જુલાઈની નિર્ધારિત તારીખ સુધી ચાર્જશીટ દાખલ કરવામાં નિષ્ફળ જતા એજન્સીના વડાને ખુલાસો રજૂ કરવા બોલાવવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું તમારા હિસાબે આ કેસોમાં ૧૪ આરોપીઓ છે અને એ બધા મણિપુરમાં છૂટથી ફરી રહ્યા છે. તમે એમની ધરપકડ કેમ ના કરી ? સુપ્રીમ કોર્ટ એજન્સીના ખુલાસાથી સંતુષ્ટ થઈ ન હતી. એજન્સીએ જણાવ્યું હતું કે, બે ચાર્જશીટો દાખલ કરી છે અને પાંચ ઓગસ્ટ મહિનામાં દાખલ કરવામાં આવશે. કોર્ટે કહ્યું કે, સીબીઆઈએ મૃત વ્યક્તિઓ સામે એફઆઈઆર દાખલ કરી છે જે લોકો પીડિતો હતા. આ વિશ્વસનીય નથી. વર્માએ કોર્ટને જણાવ્યું કે, અમે નિયમોને વળગી રહીએ છીએ એ માટે ચાર્જશીટ દાખલ કરવામાં મોડું થાય છે, કોર્ટે કહ્યું, પ્રક્રિયાના તબક્કાઓ સાતમાંથી ઘટાડી બે કરી દો. એજન્સીને આદેશ અપાયો કે, એ વધુ ૧ર અધિકારીઓને ‘સીટ’ની મદદ માટે મોકલી આપે જેથી ચાર્જશીટ દાખલ કરવામાં ઝડપ આવે. કોર્ટે ગયા વર્ષે જુલાઈ મહિનાના ‘સીટ’ની રચના કરી હતી. એ પછી કોર્ટે ધરપકડ અને પૂછપરછનો મુદ્દો સીબીઆઈ પર છોડ્યો હતો.