સીરિયાના ‘વ્હાઈટ હેલ્મેટસ’ : યુદ્ધ પીડિતોને બચાવવા બોંબ તરફ દોડતા ‘હીરોઝ’

સીરિયાના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં વ્હાઈટ હેલ્મેટસ ધારણ કરતા સ્વયંસેવકો પોતાની જાનની પરવાહ કર્યા વગર યુદ્ધમાં ઈમારતના કાટમાળ નીચે દબાયેલા લોકોને બચાવવા દોડી જાય છે

(એજન્સી)                 બૈરૂત, તા.૧૦

યુદ્ધ ફાટી નિકળ્યું તે પહેલા તેઓ બેકર્સ, ડેકોરેટર્સ કે વિદ્યાર્થીઓ હતા. હવે સીરિયાના આ બચાવ રાહત સ્વયંસેવકો વ્હાઈટ હેલ્મેટ્‌સ તરીકે ઓળખાય છે. કારણ કે તેઓ સફેદ હેલ્મેટસ ધારણ કરે છે અને હુમલાઓનો ભોગ બનતા લોકોને કાટકાળમાંથી બહાર કાઢવાની કામગીરી કરે છે.

૩૦૦૦ જેટલા સ્વયંસેવકો દ્વારા જે હૃદયદ્રાવક આઈરાક બચાવ-રાહત કાર્યો હાથ ધરવામાં આવે છે તેના વીડિયો ફૂટેજ અવાર-નવાર વાઈરલ બને છે અને વિશ્વભરના લોકો તેમના આ બચાવકાર્યોની ભારો ભાર પ્રશંસા કરે છે.

વિદ્રોહીઓના કબજા હેઠળના વિસ્તારોમાં બોંબાર્ડમેન્ટ બાદની તસવીરોમાં આ વ્હાઈટ હેલ્મેટ્‌સ ધારણ કરેલા કાર્યકરો કાટમાળને ધૂળિયા વાતાવરણમાં પોતાના હાથ ફંફોસીને તેની નીચે  દબાયેલા પીડિતોને બહાર કાઢે છે. તેમાં સૌથી લોકપ્રિય ફૂટેજ જુલાઈ ર૦૧૪માં ‘મિસ્કોલ બેબી’ એવા બે મહિનાના નવજાત બાળક મહેમૂદને બચાવવાનો છે. જેને ૧ર કલાક ખોદકામ બાદ એલેપ્પોના યુદ્ધમેદાનમાંથી એક ઈમારતના કાટમાળ નીચેથી ઉગારી લેવાના દૃશ્યો કંડારાયેલા છે. આ માસુમ બાળકને બચાવનાર ખાલેદ એલેપ્પો શહેરના વિદ્રોહીઓના કબજા હેઠળના પૂર્વ વિસ્તારમાં થયેલા હવાઈ હુમલામાં મોતને ભેટ્યો હતો. અત્યાર સુધીમાં યુદ્ધમાં ૧૪૦થી વધુ વ્હાઈટ હેલ્મેટ્‌સ સ્વયંસેવકોનાં મોત થયા છે.  ખાલેદ અગાઉ પેઈન્ટર અને ડેકોરેટર હતો. જ્યારે તેનું મોત થયું ત્યારે તેની ઉંમર માત્ર ૩૧ વર્ષ હતી. તે પોતાની પાછળ પત્ની અને બે પુત્રીઓને વિલાપ કરતા છોડી ગયો છે. તેણે એક વખત કહ્યું હતું, જો હું લોકોની જિંદગી બચાવતા મૃત્યુ પામીશ, તો અલ્લાહ મને ચોક્કસ શહીદ માનશે.

અદ્વિતીય શૌર્ય

તાજેતરમાં એક વીડિયોમાં એક સ્વયંસેવકે ઈદલિબ પ્રાંતમાં ચાર મહિનાની એક બાળકીને બચાવ્યા બાદ તે ડૂસકા ભરતો નજરે પડે છે. અમે કાટમાળ નીચેથી આ બાળકીને બહાર કાઢવા બે કલાક ઝઝૂમ્યા હતા અને ઈન્શાઅલ્લાહ તે જીવિત બહાર નીકળી છે એવું તેણે કાટમાળમાંથી બચાવવામાં આવેલી ચા રમહિનાની બાળકીએ તેના શર્ટનો કોલર પકડતા જણાવ્યું હતું. ગત સપ્ટેમ્બરમાં આ ગ્રુપને વૈકલ્પિક નોબેલ પારિતોષિક ગણાતા સ્વિડિશ માનવ અધિકાર એવોર્ડ પ્રાપ્ત થયો હતો. આ એવોર્ડના નિર્ણાયકોએ આ  ગ્રુપના અદ્વિતીય શૌર્ય, સંવેદના, અનુકંપા અને માનવતાવાદી ચેષ્ટાની ભારોભાર પ્રશંસા કરી હતી. આ ગ્રુપ આ વર્ષે નોબેલ શાંતિ પારિતોષિક માટે પણ દાવેદાર હતું, જો કે તે પારિતોષિક જીતી શક્યું નથી. ર૦૧૩માં જ્યારે સિવિલ વોરને ત્રણ વર્ષ પૂરા થવા આવ્યા હતા અને ૩,૦૦,૦૦૦થી વધુ લોકોનો મોત થયા હતા ત્યારે આ ગ્રુપની રચના કરવામાં આવી હતી. પાંચ વર્ષ કરતા વધુ સમયગાળાથી ચાલતા આ યુદ્ધ બાદ આજે આ સંગઠન સીરિયાના આઠ પ્રાંતમાં ૧ર૦ કેન્દ્રોનું સંચાલન કરે છે. તેના સ્વયંસેવકોમાં ૭૮ મહિલાઓ પણ છે. તેને બ્રિટન, ડેન્માર્ક,  જર્મની, જાપાન, નેધરલેન્ડ અને અમેરિકન સરકાર તરફથી નાણાં સહાય પણ મળે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts