અમરેલીના બાબરા તાલુકાના ત્રંબોડા ગામની કરૂણાંતિકા
અમરેલી, તા ૨૧
બાબરા તાલુકાના ત્રંબોડા ગામના દલિત પરિવારના ઘરે આજે વહેલી સવારના ઘરના મોભીએ ચા બનાવવા ગેસ શરૂ કરતા જ ઘરમાં આગ લાગી ગઈ હતી અને આગ લાગતા ઘરના તમામ સભ્યો ઘરની બહાર નીકળી ગયા હતા અને ક્ષણિક ભરમાં ગેસનો બાટલો ફાટતા મોટો ધડાકો થતાં જ દલિત પરિવારના ઘરની બહાર નીકળી ગયેલા નવ સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતા. ગામના માણસો પણ ઊંઘમાંથી ભાગવા માંડ્યા હતા અને ધડાકાનો અવાજ સાંભળી ત્રંબોડા ગામના તમામ લોકો દલિત પરિવારના ઘરે એકઠા થઇ ગયા હતા અને દાઝી ગયેલ તમામને બાબરા સરકારી દવાખાને અને ત્યાંથી અમરેલી અને બાદમાં તમામને રાજકોટ સારવારમાં ખસડેલ હતા. દાઝી ગયેલાઓમાં બે મહિલા સહિત પાંચેક જણાની તબિયત અતિ ગંભીર હોવાનું જાણવા મળેલ છે. આ ઘટનામાં ઘરના મોભી ખોડાભાઈ ખીમાભાઈ જાદવને સારવાર માટે લઈ જવાતા રસ્તામાં જ મોત નિપજ્યું હતું.
આ બનાવની મળતી વિગત અનુસાર બાબરા તાલુકાના ત્રંબોડા ગામે રેહતા ખોડાભાઈ ખીમાભાઇ જાદવ (ઉ.વ.-૬૦)ના આજે વહેલી સવારે ૬ઃ૩૦ વાગ્યે ઉઠી પોતાના માટે ગેસ પર ચા બનાવવા જતા લાઇટર દ્વારા ગેસ ચાલુ કરતા જ મોટો ભડકો થયો હતો અને આખા ઘરમાં આગ પ્રસરી ગઈ હતી. દરમિયાન પુત્ર પ્રેમજી અને પુત્ર વધુ શારદાને ઉઠાડયા હતા અને ગોદડું લઇ ગેસના બાટલા ઉપર આગ ઠારવા પ્રયત્ન કરેલ પરંતુ આગ ન બુઝાતા આ આગમાંથી ખોડાભાઈના ઘરના સભ્યો લઈને બહાર નીકળી ગયા હતા અને ક્ષણિક ભરમાં થતાં જ ગેસનો બાટલો ધડાકા સાથે ફાટ્યો હતો અને ઘરની બહાર ઉભેલા ઘરના સભ્યો તેમજ પાડોશીઓ સહિત કુલ ૯ સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતા. ગેસનો બાટલો ફાટવાનો અવાજ એટલો તીવ્રતાનો હતો કે ગામના તમામ લોકો ઊંઘમાંથી ઉઠી ગયા હતા અને ધડાકો શેનો થયો તેના વિષે લોકો ચર્ચા કરતા દલિત ખોડાભાઈના ઘરે ધડાકો થયાનું માલૂમ પડતા ગામના તમામ લોકો ત્યાં પહોંચી ગયા હતા અને ત્યાં જોતા જ ૯ જણા ગંભીર રીતે દાઝેલ નજરે પડતા તાત્કાલિક ગામના વાહનો તથા ૧૦૮ દ્વારા બાબરા સરકારી દવાખાને ખસડેલ હતા જ્યાં હેતલબેન રામજીભાઈ જાદવ ઉવ-૨૦ તથા શારદાબેન પ્રેમજીભાઈ જાદવ ઉવ-૩૦ અતિ ગંભીર દાઝેલ જણાતા રાજકોટ સારવારમાં ખસડેલ હતી બાદમાં સાત જણાને અમરેલી સારવારમાં ખસેડ્યા હતા જ્યાંથી બપોર બાદ તમામને રાજકોટ ખસડેલ હતા આ બનાવને લઇ સમગ્ર બાબરા તાલુકા તેમજ ત્રંબોડા ગામમાં ચકચાર મચી જવા પામી હતી.