(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
ત્રિપલ તલાક મુદ્દે સુપ્રીમકોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. શરૂઆતમાં જ બંધારણીય બેંચે કહ્યું કે, સુનાવણી ફકત ત્રિપલ તલાક બાબત થઈ રહી છે. જો જરૂર જણાશે તો નિકાહ હલાલા ઉપર પણ ચર્ચા કરાશે. બહુવિવાહ મુદ્દે સુનાવણી થશે નહીં. દરમિયાનમાં મુખ્ય ન્યાયાધીશે ત્રણ પ્રશ્નો કર્યા.
શું ત્રિપલ તલાક ઈસ્લામનો અભિન્ન ભાગ છે ?
શું કોર્ટ આમાં દરમિયાનગીરી કરી શકે છે ? શું ત્રિપલ તલાકને પવિત્ર માનવામાં આવે ?
શું એનાથી મૂળભૂત અધિકારોનો ભંગ થાય છે ?
આ પછી સલમાન ખુરશીદ સમેત બધા વકીલોએ પોતાની રજૂઆતો જણાવી. ખુરશીદે કહ્યું કે તલાકની પ્રક્રિયા એક સમયની નહીં પણ ત્રણ મહિનાની છે.
ત્રિપલ તલાક કોઈ મુદ્દો જ નથી કારણ કે તલાક પહેલાં પતિ-પત્ની વચ્ચે સમજૂતીના પ્રયાસો આવશ્યક છે.
જો સમજૂતીના પ્રયાસો નહીં કરાય તો એ તલાક કાયદાકીય નથી.
તલાક એક જ વખતનો નહીં પણ ત્રણ મહિનાની પ્રક્રિયા છે.
જજ રોહિંગ્ટને ખુરશીદને પૂછયું શું તલાક પહેલાં સમજૂતીના પ્રયાસો ક્યાંય કોડિફાઈડ છે, આનો જવાબ ખુરશીદે નકારમાં આપ્યો.
પર્સનલ લૉ બોર્ડ તરફથી સિબ્બલે-ખુરશીદને સમર્થન આપ્યું. સુપ્રીમકોર્ટે એમને પૂછયું પર્સનલ લૉ શું છે ? શું એનો અર્થ શરિયત છે કે કંઈ બીજું ?
સિબ્બલે કહ્યું આ પર્સનલ લૉનો મામલો છે. સરકાર કાયદો ઘડી શકે છે પણ કોર્ટ એમાં દરમિયાનગીરી નહીં કરી શકે. જજ કુરિયને કહ્યું કે મામલો મૂળભૂત અધિકારો સાથે પણ સંકળાયેલ છે. આ પછી જજ રોહિંગ્ટને કેન્દ્ર સરકારથી એમનું મંતવ્ય પૂછયું. કેન્દ્ર તરફે પિંકી આનંદે કહ્યું કે અમે અરજદારોના સમર્થનમાં છીએ. ત્રિપલ તલાક ગેરબંધારણીય છે અને ઘણા બધા દેશો આને ખતમ કરી ચૂકયા છે. સુપ્રીમકોર્ટે કહ્યું કે જો ત્રણ કલાકએ ધર્મનો ભાગ જણાશે તો અમે દખલ આપીશું નહીં.