માલેગાંવમાં મુસ્લિમો માટે આરક્ષણની માગણી માટેની રેલીમાં હજારો લોકો જોડાયા

(એજન્સી)                માલેગાંવ, તા.૧૦

મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય દ્વારા એકતાના પ્રચંડ પ્રદર્શન બાદ, રાજ્યના કાપડ નગર માલેગાવમાં મુસ્લિમો સમુદાય માટે આરક્ષણની માગણી કરવા માટે યોજાયેલી એક વિશાળ રેલીમાં હજારો લોકોએ ભાગ લીધો હતો.

આ રેલીમાં સેંકડો હિન્દુઓ સહિત આશરે એક લાખ લોકોએ ભાગ લીધો હતો.  માલેગાંવમાં શુક્રવારે સાંજે શિક્ષણ અને સરકારી નોકરીઓમાં મુસ્લિમો માટે આરક્ષણની માગ કરતાં એક ભવ્ય રેલી કાઢવામાં આવી હતી. આ રેલીનું નેતૃત્વ અઢારમી સદીના ભારતના મહાન યોદ્ધા ટીપુ સુલ્તાનના વંશજ સૈયદ મન્સુર અલી ટીપુ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ રેલીમાં તેમણે જણાવ્યું હતું કે, “ટીપું સુલતાનની સેનામાં મુસ્લિમોની જેમ જ બિન મુસ્લિમો પણ સમાન રીતે ભાગીદાર હતા. એ જ રીતે, આ સરકારે પણ મુસ્લિમોને સરકારી નોકરીઓ અને શિક્ષણમાં સમાન તકો પૂરી પાડવી જોઈએ”.

આ રેલીમાં સેંકડો મરાઠા લોકોએ પણ રેલી હાજરી આપી હતી. અને અનેક હિન્દુઓએ આ મુસ્લિમ રેલીમાં રોડની આસપાસ પાણીના પરબ ચાલુ રાખ્યા હતા.

કોંગ્રેસના ધારાસભ્ય આસિફ શેખે આ રેલીને સંબોધન કરતાં કહ્યું હતું કે બોમ્બે હાઈ કોર્ટ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે તે આરક્ષણ મુસ્લિમ સમુદાયને માટે આપવું જોઈએ. તેમણે મુસ્લિમ અંગત કાયદામાં દરમિયાનગીરી ન આક્રવા સરકારને વિનંતી કરી હતી.

તેમણે એવી જાહેરાત પણ કરી હતી કે “જો સરકાર અમારી આ આરક્ષણની માંગ તરફ ધ્યાન નહીં આપે તો અમે નવેમ્બરમાં નાસિકમાં આવી અન્ય એક રેલીનું આયોજન કરશું”.

આ અગાઉ મંગળવારે, તેઓએ શુક્રવારની આ રેલીને ભવ્ય રીતે સફળ બનાવવા માટે અપીલ કરવા માટે અને એ વિશે ચર્ચા કરવા માટે સમુદાય દ્વારા ચલાવવામાં આવતા વિવિધ સંગઠનો, નગરના રાજકીય અને બિન રાજકીય નેતાઓ અને પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. મુસ્લિમ ઉલેમાઓ, બૌદ્ધિકો, રાજકીય નેતાઓ અને કાર્યકરોએ આ સામૂહિક રેલી માટે પોતાનો ટેકો જાહેર કર્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts