નવી દિલ્હી, તા. ૨૧
સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ બાદ ટ્રિપલ તલાક વિરૂદ્ધ નરેન્દ્ર મોદી સરકાર વધુ એક મોટું પગલું ભરવા જઇ રહી છે. મોદી સરકારે ત્રણ તલાક (તલાક-એ-બિદ્દત) વિરૂદ્ધ કાયદો બનાવવાનો નિર્ણય લીધો છે. શિયાળુ સત્રમાં ત્રણ તલાક વિરૂદ્ધ બિલ લાવશે. ઉલ્લેખનીય છે કે, ૨૨મી ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે ત્રણ તલાકને પ્રતિબંધિત કરી દીધી હતી. શાયરાબાનો કેસમાં સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે એક સમયમાં એક સાથે ત્રણ વખત ત્રણ તલાક વિરૂદ્ધ નિર્ણય સંભળાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ત્રણ તલાક વિરૂદ્ધ નિર્ણયને વધુ પ્રભાવશાળી રીતે બનાવવા માટે કેન્દ્ર સરકાર આ મામલાને આગળ વધારી રહી છે. સરકાર ત્રણ તલાક વિરૂદ્ધ કાનુન બનાવવાનો નિર્ણય લીધો છે.
સરકાર હાલના દંડ જોગવાઇઓમાં સંશોધન કરવા અંગે વિચારણા કરી રહી છે જે અંતર્ગત જો કોઇ શખ્સ ટ્રિપલ તલાક આપે તો તે અપરાધ ગણાશે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા ત્રણ તલાકને પ્રતિબંધિત કર્યા બાદ પણ આ કેસો સામે આવી રહ્યા છે. સરકાર આ બિલ દ્વારા ત્રણ તલાક આપનારાને સજાની જોગવાઇ લાવવા માગે છે જેથી ત્રણ તલાક પર સંપૂર્ણ રીતે રોેક લાગી શકે. તલાક એ બિદ્દતને રોકવા માટે અત્યારે કોઇ સજાનીજોગવાઇ નથી. જોકે, ખોટી રીતે તલાક આપવાના બનાવો સામે આવી રહ્યા છે. અલીગઢ મુસ્લિમ યુનવર્સિટીના એક પ્રોફેસરે પોતાની પત્નીને વ્હોટ્સએપ અને ટુંકા મેસેજની સેવા દ્વારા તલાક આપી દીધી અને પત્નીએ બાદમાં પોલીસનો સંપર્ક કર્યો હતો. તલાક એ બિદ્દત પીડિતોને તેમની ફરિયાદના નિવારણ માટે પોલીસ પાસે કોઇ વિકલ્પ નથી જેના કારણે પોલીસ હાલ આવા કેસોમા કોઇ દંડનાત્મક કાર્યવાહી કરી શકતી નથી અને આરોપી સામે કોઇ કાનુની કાર્યવાહી પણ સંભવ નથી.