(એજન્સી) ત્રિપુરા, તા.ર૧
ત્રિપુરાના આરકેનગરમાં મંગળવારે વધુ એક પત્રકારની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. પાછલા બે મહિનામાં આ બીજી ઘટના બની છે. બીજા ત્રિપુરા સ્ટેટ રાઈફલના જવાને બંગાળી અખબારના સુદીપ દત્તા નામના પત્રકારને ગોળી મારી દીધી હતી. અગરતલાના મુખ્ય બંગાળી અખબારના સ્પંદન પત્રિકાના સંપાદક સુબલ ડે એ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારા અખબારના વરિષ્ઠ પત્રકાર સુદીપ દત્તા ભૌમિક આરકેનગર બીજા ત્રિપુરા સ્ટેટ રાઈફલના કમાન્ડરની એપોઈમેન્ટ લીધા પછી મળવા ગયા હતા. પરંતુ જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા તો એમના કમાન્ડરના પીએસઓ સાથે કાર્યાલય બહાર તકરાર થઈ હતી. જેમાં પીએસઓએ સુદીપ પર ગોળી ચલાવી દીધી. સુદીપનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. સુબલ ડેએ જણાવ્યું કે, ભૌમિકના શબને અગરતલા લાવવામાં આવ્યો છે. પોલીસે ટીએસઆરના જવાન અને કમાન્ડરના પીએસઓની ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે, ર૦મી સપ્ટેમ્બરના રોજ પત્રકાર શાન્તનુંની ભીડ દ્વારા હત્યા કરવામાં આવી હતી.