પાલનપુર, તા. ૯
બનાસકાંઠામાં આજે કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નો અંગે સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પાલનપુર-ડીસા હાઇવે સહિતના સ્થળોએ ટાયરો સળગાવી વિરોધ કરવામાં આવ્યો હતો.
ખેડૂતોને જમીન સંપાદનનું યોગ્ય વળતર મળતું નથી, ખેત ઉપજના પૂરતા અને પોષણક્ષમ ભાવો મળતા નથી, દલિતો પર અત્યાચાર, મોંઘવારી સહિતની સમસ્યાઓને નાથવામાં ભાજપ સરકાર નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપો સાથે આજે બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું, અને જ્યારે દલિતો કે ખેડૂતો સરકારના અન્યાય સામે અવાજ ઉઠાવે છે. ત્યારે તેઓ પર દમન ગુજારવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે. આજે ડીસા, પાલનપુર સહિત સમગ્ર જિલ્લામાં તાલુકા કક્ષાએ કોંગ્રેસે શહેરના મુખ્ય માર્ગો ઉપર કોંગ્રેસ દ્વારા ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરી ટાયરો સળગાવી વિરોધ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઇ ગઢવી, તાલુકા પંચાયત સભ્ય સંજયભાઇ ચૌધરી, કરણસિંહ ચૌહાણ સહિત કોંગ્રેસના હોદ્દેદારો હાજર રહ્યા હતા.