(એજન્સી) ન્યૂયોર્ક, તા.૧ર
સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકારના અધ્યક્ષ ઝૈદ રાઅદ અલ હુસેને ગઈકાલે રોહિંગ્યા મુસ્લિમો મામલે જણાવ્યું કે મ્યાનમારમાં વંશીય રોહિંગ્યા મુસ્લિમો હિંસા અને અન્યાયનો સામનો કરી રહ્યા છે તેમજ સંયુક્ત રાષ્ટ્ર અધિકારોના તપાસકારોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેથી જણાઈ રહ્યું છે કે તેઓ રોહિંગ્યા વંશને મૂળમાંથી ઉખાડી નાખવા માગે છે. ઝૈદએ સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર કાઉન્સિલના કાર્યક્રમની શરૂઆતમાં ૧૧ સપ્ટેમ્બરમાં અમેરિકી હુમલાને યાદ કર્યા બાદ આ અંગે કહ્યું હતું. તેમજ મ્યાનમારની પરિસ્થિતિ વિશે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે બુરૂંદી, વેનેઝુએલા, યમન, લિબિયા અને અમેરિકા દેશો પર પણ અધિકારોની ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ટ્રમ્પના યુવા ઈમિગ્રાન્ટસ માટે સુરક્ષાના વિભાજન અંગેની યોજના પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. જોર્ડિયન રાજા ઝૈદએ રાખિને રાજ્યમાં ચાલી રહેલા સુરક્ષા ઓપરેશનને ક્રૂર ગણાવ્યું હતું કે પાછલા ત્રણ અઠવાડિયામાં મ્યાનમારમાંથી આશરે ર,૭૦ હજાર રોહિંગ્યા મુસલમાનોએ પલાયન કરી પાડોશી દેશ રોહિંગ્યામાં શરણ લીધી હતી. યુએનએ સેટેલાઈટ મારફતે લીધેલ તસવીરોમાં સુરક્ષા દળો અને સ્થાનિક દળો રોહિંગ્યા ગામોને રાખ કરી રહ્યા છે, કત્લેઆમ કરી રહ્યા છે. ઝૈદએ મ્યાનમાર સરકારને ખોટો ડોળ કરવાનું બંધ કરવા કહ્યું છે. સરકાર કહે છે કે રોહિંગ્યા પોતે જ પોતાના ઘરોને આગ ચાંપી રહ્યા છે. આ અંગે ઝૈદ કહે છે કે તે તદ્દન ખોટું છે. મ્યાનમારના આ નિવેદનથી દુઃખ થાય છે. તદુપરાંત સરકાર માનવ અધિકારના તપાસકારોને કાર્યવાહી કરવા દેતી નથી. વર્તમાન સ્થિતિને કાબૂમાં લઈ શકાતી નથી. તેના પરથી લાગી રહ્યું છે કે તેઓ રોહિંગ્યા વંશને મૂળમાંથી ઉખાડીને ફેંકી દેવા માગે છે. મ્યાનમારે સીમાડે સુરંગો મૂકી હોવાના હેવાલ પર પણ ઝૈદએ નિંદા કરી હતી. વધુમાં ઝૈદએ મ્યાનમાર સિવાયના દેશોના નામ લીધા વિના કહ્યું હતું કે માનવ અધિકારોના મોટાપાયે ભંગ કરતા લોકોને યુએનના સંગઠનમાંથી બહાર કાઢી દેવા કહ્યું હતું. ઝૈદએ આ કાર્યક્રમમાં આલોચના કરી હતી કે વિશ્વ ભયાનક અને અંધકાર તરફ આગળ વધી રહ્યું છે. તેમણે ત્રણ વર્ષ પહેલાં કાર્યભાર સંભાળ્યો હતો.