અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા
પોલિયો મુક્ત ગુજરાત અભિયાનના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા ર એપ્રિલના રોજ પોલિયો રવિવારની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પોલિયો રસીકરણ કેન્દ્ર પર ૦થી પાંચ વર્ષના બાળકોને પોલિયોની રસીના ટીપાં પીવડાવવામાં આવ્યા હતા. જોધપુર કેન્દ્ર ખાતે સરખેજ વિસ્તારના મુસ્લિમ આગેવાન સૈયદ યાસીનમિયાં બાપુના અથાગ પ્રયત્નોથી વધુમાં વધુ બાળકોને પોલિયો રસી પીવડાવવામાં આવે તે માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી જેમાં તેમને સફળતા મળી હતી.
અમદાવાદ, તા.૨
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે બાળલકવા નાબૂદી અભિયાન હેઠળ પ્રથમ દિવસે કુલ ૯.૬૨ લાખ બાળકોને રસી પીવડાવવાના લક્ષ્યાંક સામે કુલ ૫.૯૯ લાખ બાળકોને પોલીયોની રસી પીવડાવવામાં આવી હતી. શહેરમાં આજે રસીકરણનો આરંભ મેયર ગૌતમ શાહ દ્વારા વલ્લભસદન ખાતે આયોજિત વિશ્વ ઓટીઝમ ડે નિમિત્તે આયોજિત માનવ સાંકળ રેલીના આયોજન સમયે પોલીયો રસીના બે ટીપા પીવડાવીને કરાવવામાં આવ્યો હતો.આજે શહેરમાં પોલીયો નાબૂદી અભિયાન હેઠળ કુલ ૬૬ અર્બન હેલ્થ સેન્ટરમાં ૩૪૬૨ બૂથ ઉભા કરવામાં આવ્યા હતા. જેમાં કુલ મળીને ૫,૯૯,૪૦૦ જેટલા બાળકોને પોલીયોની રસી પીવડાવવામાં આવી હતી.આમ લક્ષ્યની સામે કુલ ૬૨.૩૦ ટકા સિધ્ધિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેળવવામાં આવી છે. આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડો.ભાવિન સોલંકીએ એક વાતચીતમાં કહ્યું કે, કુલ ૯,૬૨,૧૮૫ બાળકોનો લક્ષ્યાંક રાખવામાં આવેલો છે. બાકીના બાળકોને વેકસીનેટર ઘેર-ઘેર જઈને રસીના ટીપા પીવડાવશે. એમ સુપ્રીટેન્ડન્ટ ઓફ વેકસીન ડો.દિવ્યાંગ ઓઝાએ કહ્યું છે. આજે શહેરમાં રેલવે સ્ટેશન ઉપરાંત એસ.ટી.સ્ટેન્ડ, બગીચાઓ તથા મોલ એમ ઘણી જગ્યાએ ટ્રાન્ઝીટ બુથો બાળકોને રસી પીવડાવવા માટે ઉભા કરવામાં આવ્યા હતા. જેમાં એનજીઓ,મેડીકલ તથા એસઆઈ સ્ટુડન્ટસ, નર્સિંગ સ્ટુડન્ટસ, આઈટીઆઈ સ્ટુડન્ટસ વગેરે દ્વારા રસી બાળકોને પીવડાવવામાં સહકાર આપવામાં આવ્યો હતો.