(એજન્સી) ગાઝિયાબાદ, તા.૭
બુધવારે ૪૮ વર્ષીય મુનવ્વર જનતા એક્સપ્રેસ દ્વારા દિલ્હીથી સહારનપુર પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક ટ્રેનમાં અજાણ્યા વ્યક્તિએ ગોળીબાર કરતાં મુન્નવરને ગંભીર ઈજાઓ પહોંચતા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. પોલીસ સુપ્રિટેન્ડેન્ટ કે.કે.ચૌધરીએ જણાવ્યું કે લોની પહોંચતા આ ઘટના બની હતી, સીટ માટે બોલાચાલી થતાં સામેની વ્યક્તિએ ગન કાઢી ગોળી મારી દીધી. જડબા પર ગોળી વાગતાં તેને તાત્કાલિક જીટીબી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટરોએ તેમનું ઓપરેશન કર્યું પરંતુ હાલ તેઓ પોતાના જીવન સાથે સંઘર્ષ કરી રહ્યા છે. રેલવે પોલીસ રણબીરસિંહે હાઈકોર્ટમાં જણાવ્યું કે, સમગ્ર ઘટનાની જાણકારી એક નાનકડી બાળકીએ આપી હતી. એક બાળકીએ જણાવ્યું કે લગભગ રરથી રપ વર્ષના એક યુવાને ખિસ્સામાંથી ગન કાઢી ગોળી મારી. આ સગીરા તેના માતા-પિતા સાથે ટ્રાવેલિંગ કરી રહી ત્યારે તેના પિતાએ તેને કાંઈ પણ કહેવા અટકાવી હતી કારણ કે તેઓ ડરતા હતા, તેમ છતાંય એ છોકરીએ તમામ વિગતો પોલીસને જણાવી હતી. મુન્નવરની પત્નીએ જણાવ્યું કે, અત્યારસુધી અમને એ વાતની જાણ થઈ નથી કે મારા પતિ પર આ હુમલો કેમ કરવામાં આવ્યો જ્યારે એમની તો કોઈની સાથે દુશ્મની પણ નથી મારા પતિ ગત બે વર્ષથી દિલ્હી હોસ્પિટલમાં હૃદયના રોગથી પીડિત છે. બે વર્ષથી સારવાર ચાલે છે. અજાણ્યા શખ્સ વિરૂદ્ધ જીવલેણ હુમલા બદલ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે તથા આરોપીની શોધમાં પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.