(એજન્સી) નવીદિલ્હી,તા.૧૮
૨૦૧૭ની ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે વિપક્ષના ઉમેદવાર ગોપાલકૃષ્ણ ગાંધીએ પણ દિલ્હી ખાતે ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવતી વખતે તેમની સાથે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી,ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને જેડીયુ અધ્યક્ષ શરદયાદવ પણ હાજર હતાં.સાથે જ વિપક્ષી દળોના અનેક દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા હતા.
કોંગ્રેસની આગેવાનીમાં સંસદ ખાતે યોજાયેલી બેઠકમાં સર્વસંમતિથી ગોપાલકૃષ્ણના નામ પર આ નિર્ણય લેવામાં આવ્યો હતો.ગાંધીનું નામ અગાઉ રાષ્ટ્રપતિ પદ માટે પણ સામે આવ્યું હતું,પરંતુ ચૂંટણીના મેદાનમાં ભાજપ તરફથી દલિત નેતા ઉતારવામાં આવ્યા બાદ વિપક્ષે પોતાની રણનીતિ બદલવી પડી. ૭૧ વર્ષીય ગોપાલકૃષ્ણ ગાંધી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પૌત્ર છે.તેઓ આઇએએસ અધિકારી રહી ચૂક્યા છે, સાથે જ તેઓ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે.આ અગાઉ એનડીએના ઉમેદવાર વેંકૈયા નાયડુએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. તેમની સાથે પીએમ મોદી,ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પણ હાજર રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે ઉપરાષ્ટ્રપતિ પદ માટેનું મતદાન ૫ાંચ ઓગસ્ટના રોજ કરવામાં આવશે અને તે જ દિવસે સાંજે મતોની ગણતરી કરવામાં આવશે.
ગોપાલકૃષ્ણ ગાંધીની ઉમેદવારીથી પીએમ મોદી માટે રાજકીય રૂપે સહજ રહેવું સરળ નહી રહે. ગાંધીના કોંગ્રેસ સાથે સારા સંબંધો છે.સપા અને બસપા પણ તેમને પસંદ કરે છે.પશ્ચિમ બંગાળના રાજ્યપાલ રૂપે તેમની કાર્યશૈલીના મમતા બેનરજી પણ પ્રશંસક છે.આ જ કારણ છે જેના લીધે ગોપાલજકૃષ્ણ ગાંધી વિપક્ષની પહેલી પસંદ છે.