(એજન્સી) લખનૌ, તા.૨૬
નવનિયુક્ત મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની સરકારે ઉ.પ્ર.માં કહેવાતી રોમિયો વિરોધી પોલીસ સ્ક્વોડ તૈનાત કરવાના ભાજપના ચૂંટણી વચન પર ઝડપથી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પરંતુ પોલીસ કર્મચારીઓમાં ગૂંચવાડો એ બાબતનો છે કે કોને નિશાન બનાવવા અને જ્યારે રોમિયો ઝડપાય ત્યારે શું કરવું.
ઉ.પ્ર.ની ભાજપ સરકાર જણાવે છે કે આ સ્ક્વોડને છોકરાઓથી છોકરીઓને રક્ષણ આપવા માટે રચવામાં આવી છે. પરંતુ તેનું પરિણામ સંસ્થાગત મોરલ પોલિસીંગ જેવંુ જણાય છે જે મહિલાની સ્વતંત્રતાનું રક્ષણ કરવાના બદલે તેમની સ્વતંત્રતામાં કાપ મૂકે છે. ભાજપ સરકારે પર્યાપ્ત રીતે તાલીમ વગરના પોલીસકર્મીઓને આ કામમાં જોતરી દીધા છે.
સમગ્ર ઓપરેશન કોઇ પણ જાતની જવાબદારી વગર ચાલી રહ્યંુ હોય એવું લાગે છે. પોલીસકર્મીઓને ગૂંચવાડો એ છે કે કઇ સ્થિતિ વ્યક્તિને રોમિયો બનાવે છે. કેટલાક પોલીસ કર્મચારીઓનું માનવું કે તેઓ કેટલાક રોમિયોને તેના ચહેરા પરથી ઓળખી કાઢે છે. ભાજપે જ્યારથી રોમિયો વિરોધી સ્ક્વોડનો વિચાર વહેતો કર્યો છે ત્યારથી તેની સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી નથી.
ચૂંટણી ઢંઢેરામાં માત્ર એટલંુ જણાવાયું હતું કે પ્રત્યેક કોલેજની આસપાસના પોલીસ સ્ટેશનમાં રોમિયો વિરોધી સ્ક્વોડની રચના કરવામાં આવશે. વિધાનસભા ચૂંટણીનો પ્રચાર કરતી વખતે કેટલાક ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે જેમાંથી લવજેહાદના કિસ્સાઓ અટકાવવા માટે પણ આવી સ્ક્વોડ ઊભી કરાશે. યોગી આદિત્યનાથે પણ પોતાના ચૂંટણી પ્રચારમાં લવજેહાદને મુખ્ય મુદ્દો બનાવ્યો હતો. એવા ઘણા કિસ્સાઓ જોવા મળ્યા છે જેમાં ભાજપના સમર્થન સાથે કેટલાક ઉદામવાદી જમણેરી વિચારધારા ધરાવતા લોકો રોમિયો વિરોધી હિલચાલમાં જોડાયા હતા. ૨૦૦૨માં યોગી આદિત્યનાથ દ્વારા જમણેરી પાંખના યુવાનોના સંગઠન હિંદુ યુવાવાહિનીની રચના કરવામાં આવી હતી.
આમ રોમિયો વિરોધી સ્ક્વોડની કામગીરી આ સપ્તાહે શરૂ થઇ ગઇ હતી. હિંદુ યુવાવાહિનીના માણસોએ યુનિવર્સિટી અને કોલેજની બહાર પોતાનું પેટ્રોલિંગ શરૂ કરી દીધું હતું. વિદ્યાર્થીઓના કમનસીબે તેમના કોલેજના આચાર્યો આ સ્ક્વોડના માણસો સાથે સંમતિ ધરાવે છે.