અંકલેશ્વર, તા.૧૬
અંકલેશ્વર પંથકમાં ગત મધ્યરાત્રીથી વરસી રહેલ અવિરત વરસાદના પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. અંકલેશ્વરમાં સાડા ત્રણ ઇંચ વરસાદના પગલે આમલાખાડી ઓવરફલો થયા બાદ ગાબડું પડ્યું હતું જેના કારણે વરસાદી પાણી એશિયાડ નગર સહિતની સોસાયટીઓમાં ફરી વળ્યું હતું.આ અંગેની જાણ કરાતા મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અંકલેશ્વર ઉદ્યોગ મંડલ અને નોટીફાઈડ એરિયા ઓથોરીટીના અધિકારીઓ સાથે બેઠક કરી ગાબડાનું સમારકામ કરવામાં આવ્યું હતું આ તરફ વરસાદી પાણી હાંસોટ અંકલેશ્વરને જોડતા સ્ટેટ હાઈવે પર ભરાતા વાહન વ્યવહાર થંભી ગયો હતો. અંકલેશ્વર શહેરમાં આવેલ એશિયાડ નગર, જલારામ નગર અને ત્યાગી નગર સહિતની સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ જતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો ભારે વરસાદના કારણે શહેરની સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી હતી.
બીજી તરફ અંકલેશ્વર શહેરની એશીયાડ નગર, ત્યાગી નગર સહિતની આસપાસની સોસાયટી, દીવારોડ પર જલારામનગર સહિતની સોસાયટી તેમજ નિરાંત નગર અને જીઆઇડીસી વિસ્તારમાં એસ.એ. મોટર્સ પાસે ખેતીવાડી કચેરીમાં અને નજીક આવેલ ક્વાટર્સ માં કેઢસમા પાણી ભરાઈ જતા પાલિકા તંત્ર સામે રોષ ફેલાય જવા પામ્યો હતો.