(એજન્સી) નવી દિલ્હી, તા.૭
કોંગ્રેસએ ર૦૧૯ની લોકસભા ચૂંટણી અને આગામી વિધાનસભા ચૂંટણી માટે જરૂરી આર્થિક ભંડોળ એકત્રિત કરવા ઘર-ઘર સુધી પહોંચવાની યોજના બનાવી છે. પક્ષના કાર્યકર્તા આવનારા દિવસોમાં ઘરે-ઘરે જઈ મત સાથે ચંદો પણ માંગશે. કોંગ્રેસની રણનીતિ ઘડનારાઓનું માનવું છે કે, પક્ષને એ સ્વીકારવામાં કોઈ નાનમ નથી કે કોર્પોરેટ સમૂહો પાસેથી ચંદો નથી મળી રહ્યો અને પક્ષ સામાન્ય પ્રજાની મદદથી ચૂંટણી લડવા માંગે છે.
કોંગ્રેસના હોદ્દેદારોની બેઠક બાદ એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, બેઠકમાં ડોર ટુ ડોર પ્રચાર અભિયાન બૂથ સ્તરે સંગઠન મજબૂત કરવાની તેમજ જનતાથી ચંદો એકત્રિત કરવાની યોજના બનાવવામાં આવી. જનતા પાસેથી ચંદો માંગવો એક ઉમદા યોજના છે. જેનાથી પક્ષ લોકો સાથે જોડાશે. કોંગ્રેસ હંમેશાથી ગરીબો અને સામાન્ય પ્રજાનો પક્ષ છે. જો અમે મતની સાથે ચંદો માંગવા સીધા લોકોનો સંપર્ક સાધીએ તો તેમાં કંઈ ખોટું નથી.