નવી દિલ્હી, તા. ૧૬
રાહુલ ગાંધીએ સત્તાવાર રીતે કોંગ્રેસના અધ્યક્ષનોપદભાર સંભાળ્યોત્યારે અધ્યક્ષ સોનિયા ગાંધી ભાવુક બન્યા હતા. આતશબાજીને કારણે તેમના ભાષણને ઘણીવાર સુધી રોકી દેવું પડ્યું હતું. તેમણે આ પ્રસંગે રાહુલ ગાંધીને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું કે, ૨૦૧૪થીે દેશમાં ભયનું વાતાવરણ સર્જાયું છે જે પડકારજનક છે પરંતુ અમે ડરી જવાના નથી. સાથે જ તેમણે કહ્યંુ કે દેશના લોકતાંત્રિક મુલ્યોને બચાવવા માટે કોંગ્રેસ પાર્ટીએ ઘણા બલિદાન આપ્યા છે. ગુજરાત ચૂંટણી દરમિયાન કોંગ્રેસ અને ભાજપ વચ્ચે શાબ્દિક પ્રહારો અંગે તેમણે કહ્યું કે, વ્યક્તિગત પ્રહારોએ જ તેમના પુત્ર રાહુલને ભયમુક્ત વ્યક્તિ બનાવ્યો છે. દેશના સૌથી જુના રાજકીય પક્ષનીઅધ્યક્ષતા કરનારા રાહુલ ગાંધી નહેરૂ-ગાંધી પરિવારના છઠ્ઠા સભ્ય બની ગયા છે. તેમણે પોતાના માતા સોનિયા ગાંધી પાસેથી આ ચાર્જ સંભાળ્યો છે અને તેમણે પણ ભાજપ તરફથી ઘણી ટીકાઓનો સામનો કર્યો છે. અમેઠીના ૪૭ વર્ષના સાંસદ રાહુલ ગાંધી અંગે નિષ્ણાતોએ કહ્યું છે કે, છેલ્લા કેટલાક મહિનાઓથી રાહુલ પ્રભાવશાળી નેતા તરીકે ઉભરી આવ્યા છે. તેમના ભાષણોએ લોકોને આકર્ષ્યા છે. તેઓ મોદી સરકાર સામે ટિ્વટર પર પણ સીધો જંગ કરી રહ્યા છે. તેમના ભાષણોમાં તેમણે જીએસટીને ગબ્બરસિંહ ટેક્ષ તથા સૂટ બૂટ કી સરકાર જેવા શબ્દોનો ઉપયોગ કરતા તે ઘણા પ્રચલિત બન્યા છે. દરમિયાન સોનિયા ગાંધીએ જણાવ્યું કે, પક્ષ અને પોતાની સફળતા પાછળ તેમના સાસુ અને દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનો મોટો ફાળો છે. તેમણે કહ્યું કે, ઇન્દિરાજીએ મને પુત્રીની જેમ અપનાવી અને તેમની પાસેથી મેં ભારતની સંસ્કૃતિ વિશે જાણ્યું. એ સિદ્ધાંતો વિશે શીખી જેના પર આ દેશનો પાયો ટકેલો છે. જ્યારે ૧૯૮૪માં તેમની હત્યા થઈ ત્યારે મને લાગ્યું કે, મેં મારા પોતાના માતા ગુમાવ્યા છે.